આ દિવસોમાં દરેક જગ્યાએ ભગવાન રામનું નામ સંભળાઈ રહ્યું છે, ત્યારે સૌથી વધુ જોવાયેલી ધાર્મિક સિરિયલ રામાનંદ સાગરની રામાયણ સીરીયલ DD નેશનલ પર ફરી પ્રસારિત થવા જઈ રહી છે. ઓફિશ્યલી આ વાતની જાણકારી આપતા ટીવી ચેનલે પોતાના સોશિયલ મીડિયા પેજ પર એલાન કર્યું છે. આ સીરીયલના ફરી પ્રસારિત થવાના સમાચાર સાંભળીને ચાહકોમાં આનંદની લાગણી છવાઈ છે. લોકો પાછા તેમના જૂના દિવસો યાદ કરી રહ્યા છે.
અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાની ખુશ ખબરી પછી ફરી રામભક્તો માટે ખુશીના સમાચાર છે કે, દૂરદર્શન પર રામાનંદ સાગરનો આઇકોનિક શૉ રામાયણ ફરી પ્રસારિત થવાનું છે. જે સાંભળીને લોકોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. રામાનંદ સાગરનો આ શૉ સૌ પ્રથમ વર્ષ 1987 શરૂ થયો હતો. આ શૉમાં અરુણ ગોહિલે ભગવાન રામ, માતા જાનકીના પાત્રમાં દીપિકા ચિખલિયા, સુનીલ લહેરી એ લક્ષ્મણનું પાત્ર ભજવ્યું હતું.
આજે પણ દીપિકા ચિખલીયાને લોકો સીતાના રૂપમાં જ યાદ કરે છે. દારા સિંહને હનુમાનના પાત્રમાં લોકોનો સ્નેહ મળ્યો, તો અરવિંદ ત્રિવેદી પણ રાવણના પાત્રમાં ઘેર ઘેર પ્રચલિત હતા. દૂરદર્શન પર ફરી પ્રસારિત થતા લોકો પોતાના જૂના દિવસોને યાદ કરી ખુશ થઈ રહ્યા છે.
આ ચેનલ ઉપર જુઓ રામાનંદ સાગરની રામાયણ
DD નેશનલે પોતાના અધિકારિક હેન્ડલ પરથી જાણકારી આપતાં લખ્યું હતું કે, ‘પ્રભુ શ્રીરામ આવી ગયા છે. ફરી એક વખત ટીવી સ્ક્રીન પર રામાયણ જોવા મળશે. સમગ્ર ભારતનો સૌથી લોકપ્રિય રામાનંદ સાગરનો શૉ ‘રામાયણ’ ફરી એક વખત ડીડી નેશનલ પર પ્રસારિત થશે. 5 ફેબ્રુઆરીથી દરરોજ સાંજે 6 વાગ્યે અને પુનઃ પ્રસારણ બપોરે 12 વાગ્યે થશે. લોકો પોતાના જૂના દિવસો અને કોરોનાકાળમાં લોકડાઉનના સમયને ફરી યાદ કરી રહ્યા છે કે, લોકડાઉનમાં જોયેલી રામાયણ અને હવે ફરી પ્રસારિત થવા જઈ રહી. તો પોતાના બાળકોને પણ તે પ્રસારણ બતાવી રામાયણ વિશે સમજણ આપી શકાશે.
રામાયણના પ્રસારણથી લોકોમાં ખુશી
ભુજના મિલનભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે, ‘રામાયણ’ અને ‘મહાભારત’ સિરિયલ લોકો તલ્લીન થઈને જોતા હતા. તે સમયે લોકો રામાયણ અચૂકપણે જોતા તેથી શહેરમાં કર્ફ્યું જેવો માહોલ સર્જાઈ જતો હતો. તેઓ પોતે નાના હતા ત્યારે રામાયણ જોઈ હતી અને હવે આ સીરીયલ ફરી પ્રસારિત થવાની છે, તો બધા પાત્રોને જીવંત સ્વરૂપે જોવા તેઓ ઉત્સુક છે. તેમનાં પરિવારના સદસ્યોએ પણ જણાવ્યું હતું કે, તે સમયે જાણે ટીવીમાં સાક્ષાત ભગવાન રામ હોય તેમ લોકો અગરબત્તી કરીને બેસી જતા હતા.
નવીનચંદ્ર ગોરે જણાવ્યું હતું કે, તે સમયે ટીવી નહોતું પણ રામાયણના પ્રભાવને કારણે તેઓ આસ-પડોશમાં કે, ચાયની દુકાન પર જઈ રામાયણનો આ શૉ જોતા હતા અને આ શૉ હવે ફરી ચાલુ થઈ રહ્યો છે, ત્યારે પોતાના જૂના દિવસો યાદ કરી આનંદ અનુભવે છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Ki5gqQ1M2X4HvxQqevbpKp