અજિત પવારે કેટલાક વિધાનસભ્યો સાથે સત્તામાં પ્રવેશ કર્યો તેનાથી બધાને જ આશ્ચર્ય થયું, પરંતુ તેમની સાથે શરદ પવારના અત્યંત વિશ્વાસુ અને પક્ષના કાર્યકારી અધ્યક્ષ પ્રફુલ્લ પટેલ પણ શપથવિધિમાં પહોંચતાં અનેકનાં ભવાં ઊંચકાયાં છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ અને શરદ પવાર માટે આ મોટો આંચકો માનવામાં આવે છે.
પ્રફુલ્લ પટેલ રવિવારે રાજભવનમાં શપથવિધિ સમયે હાજર હતા. શપથવિધિ પછી અજિત પવારે પત્રકાર પરિષદ લીધી ત્યારે પણ તેઓ હાજર હતા. આથી દેખીતી રીતે જ તેમણે પણ અજિત પવારને સાથ આપ્યો હોવાનું સ્પષ્ટ થયું છે.આ સામે પ્રફુલ્લ પટેલને કેન્દ્રમાં મંત્રીપદ આપવામાં આવશે એવી શક્યતા છે. કેન્દ્રીય મંત્રીમંડળના આગામી વિસ્તરણમાં તેમને તક આપવામાં આવશે. પ્રફુલ્લ પટેલને હાલમાં જ પવારે પક્ષના અધ્યક્ષ તરીકે ઘોષિત કર્યા હતા. તેમની સાથે સુપ્રિયા સુળેને પણ અધ્યક્ષા ઘોષિત કર્યા હતા તે અત્રે નોંધવું ઘટે છે.
દરમિયાન મોડી સાંજે શરદ પવારે જણાવ્યું કે પ્રફુલ્લ પટેલ અને પક્ષના મહામંત્રી સુનિલ તટકરેએ તેમની સોંપેલી જવાબદારી યોગ્ય રીતે પાર નહીં પાડી તે માટે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. હું પક્ષનો રાષ્ટ્રીય અધ્યક્ષ છું. પક્ષ યોગ્ય રીતે ચાલે તે માટે મેં પટેલની કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્તિ કરી હતી. જોકે તેમણે આ જવાબદારી યોગ્ય રીતે પાર નહીં પાડી. આથી યોગ્ય કાર્યવાહી કરાશે. દરમિયાન અજિત પવાર સત્તામાં સામેલ થવાનાં છે એવી વાત જાણવા મળતાં સુપ્રિયા સુળેએ તેમને રવિવારે સવારે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ મક્કમ રહ્યા હતા.
મહારાષ્ટ્રના હિતમાં બન્યું: ફડણવીસ
શપથવિધિ પછી રાજ્યના ઉપ મુખ્ય મંત્રી અને આ ઓપરેશન પાછળના સૂત્રધાર દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે આ જે પણ બન્યું તે મહારાષ્ટ્રના હિતનું છે. એકનાથ શિંદેની આગેવાનીમાં અમે મહારાષ્ટ્રના વિકાસનો નવો અધ્યાય લખીશું. અમે ત્રણેય મળીને મહારાષ્ટ્રના વિકાસને વધુ ગતિ આપીશું. રાજ્યને અત્યંત સ્થિર સરકાર આપીશું.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/D7tXVfZBAS1JYWWVtMpheZ