સુપ્રસિદ્ધ ફિલ્મ આર્ટ ડાયરેક્ટર નીતિન દેસાઈની આત્મહત્યા પ્રકરણે ઠાકરે જૂથના નેતા સંજય રાઉતે ભાજપ પર ગંભીર આરોપ કર્યા છે. આત્મહત્યા પૂર્વે લોન બાબતે રાહત મળે તે માટે દેસાઈએ દિલ્હીમાં જઈને ભાજપના નેતાઓને વિનંતી કરી હતી, પરંતુ તેમને કોઈએ મદદ કરી નહોતી.
બીજી બાજુ ભાજપના સ્ટાર પ્રચાર સની દેઉલને તેના જુહુના બંગલાને બેન્કે લિલામીની નોટિસ મોકલ્યા પછી એક દિવસમાં દિલાસો આપ્યો હતો. સનીને ભાજપે મદદ કરી, જેથી બેન્કે નોટિસ પાછી ખેંચી લીધી તે બાબતે અમારે કશું કહેવું નથી, પરંતુ સનીને ન્યાય આપ્યો તે મરાઠી માણસ દેસાઈને કેમ નહીં આપ્યો એવો પ્રશ્ન રાઉતે ભાજપને પૂછ્યો છે.
રાઉતે જણાવ્યું કે દેસાઈ આત્મહત્યા પૂર્વે ભાજપના નેતાઓને મળ્યા હતા. અનેકના દરવાજા ખટખટાવ્યા, પરંતુ તેમને ન્યાય મળ્યો નહીં. સનીને તુરંત મદદ મળી, જ્યારે દેસાઈ ભાજપના કોઈ નહીં હોવાથી તેમને મદદ નહીં કરી, જેને લીધે તેમનો ભોગ લેવાયો, એમ રાઉતે જણાવ્યું હતું.
એક બાજુ હજારો કરોડ રૂપિયા લઈને અનેક લોકો બેન્કને ડુબાડીને ભાગી રહ્યા છે. ભાજપ સાથે છે તેમની લોન માફ થઈ રહી છે અને કાર્યવાહી થતી નથી. જોકે હરહુન્નરી મરાઠી માણસ સો-દોઢસો કરોડની લોન પુનઃચુકવણી નહીં કરી શક્યા, જે સપનું એનડી સ્ટુડિયો થકી ઊભું કર્યું તે સપનું મારી આંખો સામે વિખેરાતું દેખાય છે. આ સહન નહીં થવાથી આત્મહત્યા કરે છે તે અત્યંત જ દુઃખજનક છે, એમ રાઉતે જણાવ્યું હતું.
દેસાઈને ઠાકરેએ હાંકી કાઢ્યાઃ ભાજપ : દરમિયાન ભાજપના વિધાનસભ્ય પ્રવીણ દરેકરે રાઉત પર પલટવાર કરતાં સીધું જ ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધ્યું છે. દેસાઈ ઉદ્ધવ ઠાકરે પાસે મદદ માગવા ગયા હતા એવી મને ખાતરીદાયક માહિતી મળી છે. જોકે ઠાકરેના પ્રવક્તા રાઉત મૃત્યુનો લાભ ઉઠાવી રહ્યા છે. તેઓ ખોટું રાજકારણ કરી રહ્યા છે. દેસાઈ ઠાકરે પાસે મદદ માટે ગયા હતા કે નહીં, મારો દાવો સાચો છે કે નહીં તેનો ઉત્તર રાઉતે આપવો જોઈએ. અનેક મરાઠી ઉદ્યોગપતિઓ ઠાકરે પાસે મદદ માગતા માટે ગયા હતા, પરંતુ તેમણે તેમને હાંકી કાઢ્યા હતા. તેમની યાદી હું જાહેર કરવાનો છું, એમ દરેકરે જણાવ્યું હતું.
ચાર જણ વિરુદ્ધ ગુનો
દરમિયાન દેસાઈની આત્મહત્યા પછી તેમની પત્ની નેહાની ફરિયાદ, ઓડિયો ક્લિપ, સુસાઈડ નોટને આધારે ખાલાપુર પોલીસે કેયુર મહેતા, રસેશ શાહ, સ્મિત શાહ, ઈએઆરસીના આર કે બંસલ, પ્રશાસક જિતેન્દ્ર કોઠારી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. દરમિયાન એડલવેઈસ દ્વારા સર્વ આરોપ નકારી કાઢવામાં આવ્યા છે અને લોનની વસૂલી નિયમ અનુસાર જ કરાતી હતી એમ જણાવ્યું હતું. 2 ઓગસ્ટે ખાલાપુર ખાતે પોતાના જ એનડી સ્ટુડિયોમાં દેસાઈએ આત્મહત્યા કરી લીધી હતી. માથે બોજ વધતાં તેમણે અંતિમ પગલું ભર્યું હતું, જે માટે એડલવેઈસ બેન્કના અધિકારીઓને જવાબદાર ઠરાવ્યા હતા.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/D7tXVfZBAS1JYWWVtMpheZ