મુંબઇના એક ગુજરાતી વેપારીને તેના એક જીગરજાન મિત્ર પર ભરોસો કરવો ભારે પડી ગયો હતો. વેપારીએ સોના-ચાંદીનો ધંધો શરૃ કરવા ભેગી કરેલ ૮૦ લાખની રોકડ આ મિત્રને સાંચવવા આપી હતી. પણ આ મિત્રે વિશ્વાસઘાત કર્યો હતો અને ૮૦ લાખની રોકડ સાથે રફુચક્કર થઇ ગયો હતો. આ ઘટનાને લીધે પડી ભાંગેલા વેપારીએ એલ.ટી. માર્ગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૃ કરી છે.
આ સંદર્ભે પ્રાપ્ત વધુ વિગતાનુસાર ફરિયાદી ગણપત મહેતાએ સોના-ચાંદીનો ધંધો શરૃ કરવા ૨૭.૩૩ લાખની રકમ જમા કરી હતી. મહેતાને અમદાવાદ જવાનું થયું હોવાથી તેણે આ રકમ તેના એક જૂના અને જીગરજાન મિત્ર તુલસી શર્મા પાસે સાંચવવા આપી હતી. દરમિયાન ફરિયાદી પાસે વધારાની ૪૨.૭૫ લાખની રોકડ તેના એક અન્ય પાર્ટનર મદુસદન જોશી તરફથી પ્રાપ્ત થઇ હતી તે પણ ફરિયાદીએ શર્મા પાસે જમા કરાવી હતી.
આ રકમ જમા કરાવ્યા બાદ ફરિયાદી પાસે બીજી ૯.૯૦ લાખની રોકડ આવી હતી. આમ કુલ ૮૦ લાખની રોકડ ફરિયાદી મહેતાએ શર્મા પાસે જમા કરાવી હતી. થોડા દિવસ પહેલા અમદાવાદથી કામ પતાવી તે મુંબઇ પાછા ફર્યા હતા. અહીં આવ્યા બાદ ફરિયાદીએ શર્માનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો તો તેનો સંપંર્ક થઇ શક્યો નહોતો. શર્માનો ફોન બંધ આવતો હતો અને તે સંપર્ક કક્ષાની બહાર હોવાનું જણાતા ફરિયાદી તેના નિવાસસ્થાને પહોંચી ગયા હતા. જોકે અહીં પણ તેની કોઇ ભાળ ન મળતા દિગ્મૂઢ બની ગયેલા વેપારીએ તરત જ આ પ્રકરણે એલ.ટી. માર્ગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસીની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આ પ્રકરણે વધુ તપાસ શરૃ કરી આરોપીને પકડી પાડવાના પ્રયાસો હાથ ધર્યા છે.
આ સંદર્ભે એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ફરિયાદી મહેતા અને આરોપી શર્મા બન્ને એકબીજાને ઘણા વર્ષોથી ઓળખતા હતા અને બંન્ને વચ્ચે ગાઢ દોસ્તી હતી. તેથી મહેતાએ નવો ધંધો શરૃ કરવા જમા કરેલી ૮૦ લાખ જેવી માતબર રકમ મિત્રને સાચવવા આપી હતી જોકે તેણે દગો કર્યો હતો અને રોકડ રકમ સાથે રફુચક્કર થઇ ગયો હતો.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/D7tXVfZBAS1JYWWVtMpheZ