દરરોજ હજારો દર્શનાર્થીઓના પ્રવાહથી ધમધમતા રહેતા અને દેશના સૌથી વધુ સમૃદ્ધ મંદિરોમાંના એક શિર્ડી સાઈબાબા મંદિરની સુરક્ષાની જવાબદારી આખરે મહારાષ્ટ્ર સિક્યોરિટી ફોર્સને જ સોંપવાનો સરકારે નિર્ણય કર્યો છે.
સાઈ મંદિરની સુરક્ષા સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ (સીઆઇએસએફ)ને સોંપવા માટે રાજ્ય સરકારે હિલચાલ કરતા શિર્ડીવાસીઓએ જોરદાર વિરોધ કર્યો હતો. અત્યાર સુધી મંદિરની સુરક્ષા સ્થાનિક પોલીસ અને શિર્ડી અને આસપાસના ગામના રહેવાસીઓને લઈ ઊભી કરવામાં આવેલી પ્રાઇવેટ સિક્યોરિટી ગાર્ડની ટીમ તરફથી જ કરવામાં આવતી હતી. એટલે રાજ્ય સરકારનો મંદિરની સલામતીની જવાબદારી કેન્દ્રીય સુરક્ષા દળને સોંપવાનો ઇરાદો છે એવી ખબર પડતા ગામવાસીઓએ જોરદાર વિરોધ કર્યો હતો. આખરે આ વિરોધ સામે નમતું જોખીને સુરક્ષાનો હવાલો મહારાષ્ટ્ર સિક્યોરિટી ફોર્સ (મહારાષ્ટ્ર સુરક્ષા બળ)ને સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
શિર્ડી સાંઈબાબા મંદિરની સલામતી એ બહુ સંવેદનશીલ વિષય છે. અવારનવાર ધમકીઓ મળતી રહે છે, એટલે સુરક્ષાનો જડબેસલાક બંદોબસ્ત હોવો જોઈએ, એવી માગણી સાથે હાઇકોર્ટમાં ધા નાખવામાં આવી હતી. કોર્ટે સરકારને મંદિરની સલામતી બાબત ગંભીરતાથી વિચાર કરવા નિર્દેશ આપ્યો હતો. એટલે સરકારે સીઆઇએસએફની સિક્યોરિટી ગોઠવવાનું નક્કી કર્યું હતું, પરંતુ શિર્ડીના ગ્રામજનોએ આની સામે વિરોધ કર્યો હતો અને પહેલી મેના રોજ શિર્ડીમાં બંધ પાળવામાં આવ્યો હતો. એ વખતે સરકાર તરફથી પ્રધાન રાધાકૃષ્ણ વિખે પાટીલે હૈયાધારણા આપી હતી કે આ નિર્ણય બાબત ફેરવિચારણા કરાશે એ મુજબ આજે મહારાષ્ટ્ર સુરક્ષા બળની પહેલી ટુકડી મંદિરે પહોંચી ગઈ હતી.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/D7tXVfZBAS1JYWWVtMpheZ