ઘાટકોપરની એક સ્કૂલમાં અભ્યાસ કરતાં બે બાળકોનો સ્કૂલની વેનમાં ઝઘડો થયો હતો. એની માહિતી એક બાળકે તેના પિતાને આપતાં પિતાએ બીજા બાળકને બોલાવીને તેની મારઝૂડ કરી હતી. એટલું જ નહીં, તેને ધમકી પણ આપી હતી કે જો તું કોઈને કહીશ તો તને હજી માર મારવામાં આવશે. કિશોરની માતાએ તેના શરીર પર માર લાગ્યાનાં નિશાન જોતાં આ ઘટનાની જાણ પોલીસને કરતાં પોલીસે બીજા છોકરાના પિતા સામે ૨૨ ઑગસ્ટે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી હતી.
ઘાટકોપર-ઈસ્ટના પંતનગરમાં વલ્લભબાગ લેનમાં આવેલી એક સોસાયટીમાં રહેતાં રૂપલ અજિત જોષીએ કરેલી ફરિયાદ અનુસાર તેમનો ૧૨ વર્ષનો પુત્ર રાહુલ (નામ બદલ્યું છે) પંતનગરની યુનિવર્સલ સ્કૂલમાં આઠમા ધોરણમાં અભ્યાસ કરે છે. તેને સ્કૂલમાં લેવા-મૂકવા માટે ખાનગી બૅન આવે છે. ૧૯ ઑગસ્ટે રાહુલ બપોરે સ્કૂલથી ઘરે આવ્યા પછી કપડાં બદલી રહ્યો હતો ત્યારે તેની મમ્મીએ જોયું કે તેના ગળા અને ગાલ પર મારનાં નિશાન હતાં. તેમણે રાહુલને પૂછતાં તેણે કંઈ કહ્યું નહોતું. ત્યાર બાદ વારંવાર પૂછતાં તે રડવા લાગ્યો હતો.
તેને શાંત કરી વિશ્વાસમાં લઈને પૂછતાં તેણે કહ્યું હતું કે તેના સ્કૂલના મિત્રના પિતા મિથુલ જોષીએ તેને માર માર્યો હતો. ત્યાર બાદ રાહુલની મમ્મીએ તેને ડ્રૉપ કરવા આવતા ડ્રાઇવર બાલાજી ગાયકવાડને ફોન કર્યો તો તેણે કહ્યું કે ૧૮ ઑગસ્ટે બપોરે તે બાળકોને નીચે ઉતારી રહ્યો હતો ત્યારે નાયડુ કૉલોની નજીક તેના પિતા મિતુલ જોષીએ રાહુલને સ્કૂલની વનમાંથી બહાર ખેંચીને હાથ વડે માર્યો હતો. રાહુલને ફરી પૂછતાં તેણે કહ્યું કે તે સ્કૂલની વૅનમાં હતો ત્યારે તેને બંને ગાલ પર ફટકા મારવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેને સ્કૂલની વૅનમાંથી બહાર કાઢતી વખતે તેણે દરવાજો પકડી લેતાં તેના હાથ પર મુક્કો માર્યો હતો. અંતે તેને વનમાંથી બહાર કાઢ્યા બાદ હાથવડે માર માર્યો હતો. અંતે તેમણે સ્થાનિક હૉસ્પિટલમાં ઇલાજ કર્યા બાદ પંતનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
રૂપલ જોષીએ કહ્યું હતું કે ‘સ્કૂલમાં બાળકોના ઝઘડા થતા હોય છે. મારો પુત્ર ૧૨ વર્ષનો છે અને તેને ૪૫ વર્ષના એક ભાઈએ માર માર્યો હતો. મારા પુત્રને માર્યા બાદ તેને ધમકી પણ આપવામાં આવી હતી કે જો તું કોઈને કહીશ તો તને વધુ માર મારવામાં આવશે. સ્કૂલની વૅનના ડ્રાઇવરને બધું ખબર હોવા છતાં તેણે અમને કંઈ કહ્યું નહોતું. હું આ ઘટનાની ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન ગઈ ત્યારે મને ક્લાકો સુધી બેસાડી રાખવામાં આવી હતી. અંતે સિનિયર અધિકારીઓને મળ્યા બાદ મારી ફરિયાદ નોંધવામાં આવી હતી.’
પંતનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ગિરીશ હેઠેએ કહ્યું હતું કે ‘આ કેસમાં હજી સુધી આરોપીની ધરપકડ કરવામાં આવી નથી. વધુ તપાસ કરવામાં આવી રહી છે.’
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/D7tXVfZBAS1JYWWVtMpheZ