મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી ગરમાવો આવી ગયો છે. ઉદ્ધવ ઠાકરે (UBT)ની શિવસેનામાં મોટું ભંગાણ થવા જઇ રહ્યું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. ઉદ્ધવના 9માંથી 6 સાંસદ બળવાખોર બનવાના મૂડમાં છે. UBT સાંસદ સંજય રાઉતે મોટો દાવો કર્યો છે. રાઉતે દેવેન્દ્ર ફડણવીસને ટેગ કરીને દાવો કર્યો છે કે ઉદ્ધવ જૂથના સાંસદોને 15-15 કરોડની ઓફર આપવામાં આવી રહી છે. UBTના ઘણાં સાંસદોના ફોન સ્વીચ ઓફ આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર 6 થી 7 સાંસદો એકનાથ શિંદે જૂથમાં સામેલ થઇ શકે છે.
અગાઉ શિવસેના (શિંદે) નેતા પ્રતાપ સરનાઇકે સંકેત આપ્યો હતો કે અમારી પાર્ટીમાં બળવાખોર સાંસદો(UBT)નું સ્વાગત કરવામાં આવશે. સરનાઇકના સંકેતોથી ઉદ્ધવ જૂથમાં વિદ્રોહની સંભાવનાને બળ મળ્યું હતું. સંજય રાઉત દિલ્હી પહોંચ્યા ત્યારે જ ઉદ્ધવ જૂથના સાંસદોના પક્ષ પલટાની ચર્ચાઓ શરુ થઇ ગઇ હતી. એવું માનવામાં આવતું હતું કે રાઉત શિવસેનાના બાગી 9 સાંસદો દ્વારા અલગ સમૂહ બનાવવાની સંભાવનાને રોકવા માટે લોકસભા અધ્યક્ષ બિરલા સાથે મુલાકાત કરી શકે છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર મોડી રાત્રે કરેલી એક પોસ્ટમાં સંજય રાઉતે કહ્યું, ‘અપના સપના મની… મની! એવા સમાચાર છે કે મહારાષ્ટ્રના સાંસદોને ખરીદવા માટે આજે રાત્રે 15 કરોડ રૂપિયાની એડવાન્સ રકમ આપવામાં આવશે. આ ચોંકાવનારું અને શરમજનક છે!’ આ પહેલા સંજય રાઉત અને તેમની પાર્ટી શિવસેના (UBT) ના સાથી અને લોકસભા સાંસદ અનિલ દેસાઈએ કેટલાક સાંસદો અલગ જૂથ બનાવી શકે છે એ વાતને નકારી કાઢી હતી.
સાંસદો વચ્ચે બળવાની ચર્ચાઓ વચ્ચે શિવસેના નેતા અને રાજ્યના પરિવહન મંત્રી સરનાઇકે સંકેતમાં બળવાખોર સાંસદોને એક પ્રકારે આમંત્રણ આપ્યું. તેમણે કહ્યું, ‘જો સાંસદ અને ધારાસભ્ય જેવા જનપ્રતિનિધિઓને તેમના નેતૃત્વ પર ભરોસો નથી… જો તેઓ શિવસેનાના સ્થાપક બાળ ઠાકરેના આદર્શોમાં વિશ્વાસ રાખે છે અને એકનાથ શિંદેના નેતૃત્વ પર ભરોસો કરવા તૈયાર છે, તો શિવસેનાના દરવાજા તેમના માટે ખુલ્લા છે.’ તેમણે વધુમાં કહ્યું, ‘જો તેઓ ભવિષ્યમાં ક્યારેય એવું વિચારશે, તો અમે તેમને પ્રાધાન્ય આપીશું.’ તેમની આ ટિપ્પણી શિવસેના (UBT) ના સાંસદ સંજય દેશમુખે દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી અને શિવસેના નેતા પ્રતાપરાવ જાધવ સાથે મુલાકાત કર્યાના એક દિવસ પછી આવી છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
