
કુર્લા પૂર્વમાં એસટી બસ ડેપોની બહાર પાણી ભરેલા ખાડામાં ડૂબી જતા ૬ વર્ષના બાળકનું મોત થયું હતું. આ મામલે પોલીસે કેસ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ, આ ઘટના શનિવારે સાંજે ૪.૧૫ વાગ્યાની આસપાસ કુર્લા એમએસઆરટીસી બસ ડેપો પરિસરની નજીક બની હતી. જેમાં ૬ વર્ષીય ઉજ્જવલ સિંહનું મોત થયું હતું. ઉજ્જવલ તેની માતા અને દાદી સાથે મિલન નગરમાં રહેતો હતો.
ઘટના મુજબ, શનિવારે બપોરે મૃતક તેના મિત્રો સાથે રમવા માટે એસટી બસ ડેપો પરિસરમાં ગયો હતો. અહીં બાંધકામ ચાલી રહ્યું હતું. તેથી ઘટનાસ્થળે એક ખાડો ખોદવામાં આવ્યો હતો. જે પાણીથી ભરાયેલો હતો. એસટી બસ ડેપો પરિસરમાં રમતી વખતે ૬ વર્ષીય બાળક આકસ્મિક રીતે ખાડામાં પડી ગયો હતો અને પાણીમાં ડૂબી ગયો હતો. આ સમયે મિત્રો ડરીને ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા.

આ સમયે સ્થાનિકોનુધ્યાન જતા તેઓએ ે તાત્કાલિક બાળકને પાણી ભરેલા ખાડામાંથી બહાર કાઢ્યો હતો અને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જો કે, તબીબી તપાસ દરમિયાન બાળકને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
આ ઘટના બાદ રોષે ભરાયેલા સ્થાનિકોએ બેદકારી દાખવનાર અધિકારીઓ, મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના મેનેજમેન્ટ અને ખાડો ખોદનાર કોન્ટ્રાક્ટર સામે જેણે ખાડા સામે કોઈ ચેતવણી ચિહ્નો કે બેરિકેડ રાખ્યા ન હતા તેથી આ બધા સામે કડક કાર્યવાહીની અને આ મામલે કેસ નોંધવાની માંગ કરી હતી.
નેહરુ નગર પોલીસે આ મામલે આકસ્મિક મૃત્યુનો કેસ નોંધ્યો હતો અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.
