અચલગચ્છ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈનોના ગચ્છાધિપતિ પ.પૂ. આચાર્ય ભગવંત કલાપ્રભસાગર સુરીશ્વરજી મ.સા. આદિ ઠાણા ૮ નો ભવ્ય ચાતુર્માસ પ્રવેશ રવિવારે યોજાયો હતો. એ પ્રસંગે આચાર્યશ્રીએ ભારતનાં જૈન તીર્થસ્થાનોની સુરક્ષા તથા અખંડિતતા માટે સમાજને નક્કર આયોજન કરવાની હિમાયત કરી હતી. આ ઉપરાંત જૈન સાધુ- સાધ્વીઓના પગપાળા વિહાર વખતે માર્ગ અકસ્માતમાં થતાં કાળધર્મની ઘટનાઓ અટકાવવા યુવાનોની એક વિશેષ બ્રિગેડ ઊભી કરવાની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો.
રવિવારે સવારે વરસતા વરસાદમાં મુંબઇના ચર્ની રોડ સ્થિત સેન્ટ્રલ પ્લાઝા ખાતે યોજાયેલા વરિષ્ઠ ગચ્છાધિપતિ પ.પુ. કલાપ્રભસાગર સૂરીશ્વજી મહારાજના ચાતુર્માસ પ્રવેશ વખતે ‘દેખો દેખો કૌન આયા, જિન શાસન કા શેર આયા’ના નારા સાથે માર્ગો ગૂંજી ઊઠ્યા હતા. શ્રી દક્ષિણ મુંબઈ અચલગચ્છ જૈન સંઘ અને શ્રી રાજસ્થાન અચલગચ્છ જૈન સંઘના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ સમારોહમાં મહારાષ્ટ્રનાં કેબિનેટ મંત્રી મંગલપ્રભાત લોઢા, નવનીત પરિવારના બિપિનભાઇ ગાલા, પ્રવિણભાઇ લોડાયા, હરખચંદ ગંગર, નયન ભેદા, ચંદુભાઇ ફ્રેમવાલા તથા જબરમલજી સહિતના સંખ્યાબંધ જૈન આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
સાહિત્ય દિવાકર રાજસ્થાન, દક્ષિણ દીપક, માલાણી તીર્થોદ્ધારક, સૂરિમંત્ર પંચ પ્રસ્થાન આરાધક, ગુરુગુણસિંધુસુરી પટ્ટધર, અચલગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ.શ્રી કલાપ્રભસાગર સૂરીશ્વરજી મહારાજ આ વર્ષે મુંબઇમાં થનારા તમામ સાધુ-સંતોનાં ચાતુર્માસમાં સૌથી વરિષ્ઠ છે.
આ પ્રસંગે યોજાયેલી શોભાયાત્રામાં હજારો જૈન ભાવિકો જોડાયા હતા. યાત્રા અંતરિક્ષ પાર્શ્વનાથ જૈન મંદિરથી પ્રસ્થાન કરીને વાજતેગાજતે, રિમઝિમ વરસતા વરસાદમાં ગિરગામના માર્ગો ઉપર નીકળી હતી. ગચ્છાધિપતિ ગુરુદેવની દીક્ષા પછી આ ૫૫મો ચાતુર્માસ શ્રી દક્ષિણ મુંબઈ અચલગચ્છ જૈન સંઘના પ્રાંગણ સેન્ટર પ્લાઝા, ગિરગામમાં થઇ રહ્યો છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw