મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) દ્વારા રાજ્યના અનેક વિસ્તારોમાં ભેળસેળ કરનારાઓ, પ્રતિબંધિત ગુટખા વેચનારાઓ અને અસ્વચ્છ ખાદ્ય ઉત્પાદકોને નિશાન બનાવીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેના પરિણામે ૩૩ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી અને ૨૭ એકમોને સીલ કરવામાં આવ્યા હતા એમ એક અધિકારીએ ગુરુવારે જણાવ્યું હતું. થાણે જિલ્લામાં એફડીએ દ્વારા દરોડામાં ખાદ્યતેલ, ઘી, તાડી,પાન મસાલા અને ગુટખા સહિત અંદાજે ૧૨ લાખ રૃપિયાનો શંકાસ્પદ અને પ્રતિબંધિત સામાન જપ્ત કરવામાં આવ્યો હતો. આ સંબંધમાં ૬ જણની અટકાયત કરવામાં આવી છે.
કમિશનર તુકારામ મુંઢેના માર્ગદર્શન હેઠળ મુંબઈ, કોંકણ, પુણે, નાસિક, અમરાવતી, નાગપુર અને છત્રપતિ સંભાજીનગર વિભાગમાં પચ્ચીસમી મેના રોજ કાર્યવાહી કરવામાં આવી હતી, એમ તેમણે જણાવ્યું હતું.આ ઝુંબેશમાં ૩૪ એકમો ઉલ્લંઘન કરતા મળી આવ્યા હતા.તેના પરિણામે પચ્ચીસ એફઆઇઆર નોંધવામાં આવી અને ૩૩ ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત પાંચ વાહનો જપ્ત કરવામાં આવ્યા અને ૨૭ એકમો સીલ કરવામાં આવ્યા.આશરે ૨૦.૫૭ લાખ રૃપિયાનો પ્રતિબંધિત માલ જપ્ત કરવામાં આવ્યો હતો. તેમાં મુંબઈ વિભાગમાં ૧૯ ધરપકડોનો સમાવેશ થાય છે.

ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ (એફએસએસએ) હેઠળ કુલ ૨૩ અન્ય સંસ્થાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ૨૮.૭૮ લાખ રૃપિયાની કિંમતની લગભગ ૬૦ ખાદ્ય ચીજો જપ્ત કરવામાં આવી હતી, જેમાં પેકેજ્ડ પીવાનું પાણી, દૂધ, નૂડલ્સ, કાર્બોનેટેડ વોટર, ખાદ્ય તેલ, મીઠાઈઓ, ફરસાણ, આઈસ્ક્રીમ, તાડી અને ઘીનો સમાવેશ થાય છે, તેવું અધિકારીઓએ જણાવ્યું હતું.
જળગાંવમાં, ધારણગાંવ તાલુકામાં એક વ્યક્તિ ગાયના દૂધમાં ખાદ્ય તેલ ભેળવીને કૃત્રિમ દૂધ બનાવતા પકડાયો હતો, જ્યારે પુણેના ઇન્દાપુરમાં, અધિકારીઓએ ઇથિલિન રસાયણોનો ઉપયોગ કરીને કેરીઓને કૃત્રિમ રીતે પકવતા જોયા.
ધૂળેમાં એક લોટ મિલ અત્યંત અસ્વચ્છ પરિસ્થિતિઓમાં વટાણાના લોટનું ઉત્પાદન કરતી જોવા મળી. મુંબઈમાં, ધારાવીમાં એક ઉત્પાદન એકમને પેકેજિંગ અને લેબલિંગ નિયમોનું ઘોર ઉલ્લંઘન કરીને નૂડલ્સનું ઉત્પાદન કરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો. જ્યારે નાસિકમાં, માન્ય લાઇસન્સ વિના ખાદ્ય ઉત્પાદનોનું ઉત્પાદન કરવા બદલ અનેક સંસ્થાઓ પર કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

અધિકારીએ જણાવ્યું હતું કે પાલઘરમાં, અસ્વચ્છ સ્થિતિમાં કાર્યરત એક આઈસ્ક્રીમ ઉત્પાદન એકમમાંથી લાખો રૃપિયાનો સ્ટોક જપ્ત કરવામાં આવ્યો હતો.
કડક ચેતવણી આપતા એફડીએ ના કમિશનર મુંઢેએ જણાવ્યું હતું કે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ ૧૨૯ હેઠળ કેસ દાખલ કરવામાં આવશે, જેમાં ઉલ્લંઘન કરનારાઓ પર સારા આચરણના બોન્ડ પર સહી કરવાની જરૃર પડશે, જ્યારે પછીના ઉલ્લંઘનો પર તાત્કાલિક ફોજદારી એફઆઈઆર દાખલ કરવામાં આવશે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
