આજના સમયમાં વ્યસ્ત જીવનશૈલીમાં જો તમે ફક્ત 5 મિનિટનો સમય કાઢી સવારે અનુલોમ વિલોમ પ્રાણાયામ કરી લેશો તો શરીર અને મન સ્વસ્થ રહેશે. અનુલોમ વિલોમ કરવાથી તન અને મનને કેવા લાભ થાય છે ચાલો જાણીએ.
અનુલોમ વિલોમ શરીર માટે વરદાન સમાન પ્રક્રિયા છે. આ યોગથી ફિઝિકલ અને મેન્ટલ સમસ્યાઓ દૂર થઈ જાય છે. ભારત સરકારના આયુષ મંત્રાલય અનુસાર અનુલોમ વિલોમ અત્યંત ફાયદાકારક છે. તે મનને શાંત કરે છે અને ચિંતા ઓછી કરવામાં મદદ કરે છે. આ પ્રાણાયામ કરવાથી ફોકસ વધે છે. આ યોગ કરવા માટે શાંત થઈને શ્વાસ લેવાની અને મૂકવાની એક્સરસાઇઝ કરવાની હોય છે.
અનુલોમ વિલોમ એક પ્રાચીન યૌગિક ટેકનિક છે. જેને નાળીશોધન પ્રાણાયામ પણ કહેવાય છે. જેમાં ડાબા અને જમણા નસકોરાથી વારાફરતી શ્વાસ લેવાનો અને છોડવાનો હોય છે. અનુલોમનો અર્થ થાય છે સાથે અને વિલોમનો અર્થ થાય છે વિપરીત દિશામાં. આ પ્રોસેસમાં એક નસકોરાથી શ્વાસ લેવામાં આવે છે અને બીજાથી છોડવામાં આવે છે.

અનુલોમ વિલોમ કરવાની રીત
નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર અનુલોમ વિલોમ પ્રાણાયામ કરવા માટે શાંત જગ્યાએ આસન પાથરીને બેસવું. આરામદાયક ધ્યાન મુદ્રામાં બેસીને કરોડરજ્જુને સીધી રાખવી. હવે આંખ બંધ કરીને જમણા નસકોરાથી શ્વાસ લેવો અને ડાબા નાકથી શ્વાસ બહાર કાઢવો. આ પ્રક્રિયા દરમિયાન આંગળીઓની મદદથી નસકોરાને ખોલવા અને બંધ કરવા.
અનુલોમ વિલોમ કરવાથી થતા લાભ
1. અનુલોમ વિલોમ પ્રાણાયામ કરવાથી નર્વસ સિસ્ટમ શાંત થાય છે અને ચિંતાથી મુક્તિ મળે છે. રોજ પાંચથી દસ મિનિટ પણ અનુલોમ વિલોમ કરી લેવામાં આવે તો મગજ શાંત રહે છે અને એકાગ્રતા તેમજ મેમરી સુધરે છે.
2. હેલ્થ એક્સપર્ટ અનુસાર રોજ પાંચ મિનિટ અનુલોમ વિલોમ કરવામાં આવે તો બ્લડ પ્રેશરને કંટ્રોલ કરી શકાય છે તેનાથી ચહેરા પર નિખાર પણ આવે છે અને રાત્રે ઊંઘ પણ સારી આવે છે.
3. નિયમિત રીતે પાંચ મિનિટ માટે પણ અનુલોમ વિલોમ કરવામાં આવે તો શરીરમાં એનર્જી વધે છે અને ફેફસા હેલ્ધી બને છે.

4. અનુલોમ વિલોમ એક સરળ અને અસરકારક પ્રાણાયામ છે. તેને રોજ કરવાથી ફિઝિકલ હેલ્થમાં સુધારો થવા લાગે છે અને મનને શાંતિ મળે છે.
કોણે અનુલોમ વિલોમ ન કરવું ?
અત્યંત ફાયદાકારક હોવા છતાં પણ કેટલાક લોકોએ અનુલોમ વિલોમ પ્રાણાયામ કરવાનું ટાળવું જોઈએ. જેમકે ગર્ભવતી મહિલાઓ, હાર્ટ પેશન્ટ, હાઈ બ્લડ પ્રેશર વાળા લોકો હોય તેમણે યોગ એક્સપર્ટની સલાહ લીધા પછી જ આ યોગ કરવો. આ ઉપરાંત જમ્યા પછી તુરંત આ યોગ કરવા નહીં. કોઈપણ વસ્તુ ખાધી કે પીધી હોય તો ત્રણથી ચાર કલાકનું અંતર રાખીને જ અનુલોમ વિલોમ કરવું જોઈએ.

