જૈન શ્રેષ્ઠી વીરચંદ ગાંધીના પૌત્ર અને પૌત્રીએ મુંબઇના ઉપનગરીય પાલક મંત્રી મંગલ પ્રભાત લોઢાને કરેલી રજૂઆત બાદ આ જગ્યા તોડવા માટે આવેલા મ્હાડાનાં કોન્ટ્રાક્ટરોને આ જગ્યાનું એતિહાસિક તથા સામાજિક મહત્ત્વ સમજાવીને મંત્રી લોઢાએ તોડકામ અટકાવીને મ્હાડાના અધિકારીઓની મિટિંગ બોલાવી છે.
ગત 17 મી જૂને આગ લાગ્યા બાદ ચકલા સ્ટ્રીટનું તેમનું મકાન સળગી જવાથી વીરચંદ ગાંધીના પૌત્ર પ્રકાશ ગાંધી અને પૌત્રી સરલાબેન ગાંધી નિરાધાર થયાં હતાં. એવામાં આજે મ્હાડાના કોન્ટ્રાક્ટર અફઝલભાઇની ટીમ આ મકાન તોડવા માટે ઘટના સ્થળે પહોંચી હોવાની જાણ થતાં જૈન સમાજના પ્રતિનિધીઓ અને પ્રકાશ ગાંધી તથા સરલાબહેને મંત્રી લોઢાનો સંપર્ક કરતાં તેઓ ચકલા સ્ટ્રીટ ગયા હતા અને આ પરિવારનું અને તેમના મકાનનું સામાજિક અને એતિહાસિક દ્રષ્ટિએ કેટલું મહત્ત્વ છે તે સમજાવીને તોડકામ અટકાવ્યું હતું. આ સાથે મંત્રી લોઢાએ વીરચંદ ગાંધીના પરિવારને તેમનું મકાન રિપેરિંગ કરીને સુરક્ષિત પાછું અપાવવાના તમામ પ્રયાસ કરવાની ખાતરી આપી હતી.
પાલક મંત્રી મંગલ પ્રભાત લોઢાએ સોમવાર ૨૪મી જૂને મંત્રાલયમાં મ્હાડાના અધિકારીઓની એક બેઠક બોલાવી છે, જેમાં આ ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા સ્થાનને મ્હાડાના ફંડ અને જરૂર પડે તો સામાજિક સહાય સાથે ફરી રહેવા લાયક કરી આપવાની થયેલી પહેલ ઉપર અંતિમ નિર્ણય કરવામાં આવે તેવી શક્યતા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વીરચંદ રાઘવજી ગાંધી બેરિસ્ટર હતા અને એક સમયે મહાત્મા ગાંધીના ગુરુ હતા. ભૂતકાળમાં જ્યારે દેશમાં દુકાળનો સમય હતો ત્યારે વીરચંદ ગાંધીએ અસરગ્રસ્તો માટે જહાજ ભરીને અનાજની પણ વ્યવસ્થા કરી હોવાનું તેમના પરિવારજનોએ જણાવ્યું હતું. જોકે આજે સંજોગો બદલાયા છે અને તેમના પૌત્ર પાસે આ સ્થાનને ફરી ઊભું કરવાની ક્ષમતા નથી.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw