વાશીમાં આવેલી ઍગ્રિકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી (APMC)ના દાણાબંદરની વર્ષો જૂની સંસ્થા ગ્રોમા (GROMA-ધ ગ્રેન રાઇસ ઍન્ડ ઑઇલસીડ્સ મર્ચન્ટ્સ અસોસિએશન)ના પ્રમુખ શરદ દેવરાજ મારુનું શનિવારે રાતે ઉંમરને લગતી બીમારીને કારણે ૭૮ વર્ષની વયે અવસાન થયું હતું. મૂળ કચ્છના હાલાપર ગામના કચ્છી વીસા ઓસવાળ જ્ઞાતિના શરદભાઈ છેલ્લા થોડા વખતથી બીમાર હતા અને તેમની સારવાર ચાલી રહી હતી. તેમના પરિવારમાં પત્ની શોભનાબહેન તથા પુત્રો ચેતન અને નિરલનો સમાવેશ થાય છે. તેમના અવસાનની જાણ થતાં વેપારીઓ મોટી સંખ્યામાં તેમનાં અંતિમ દર્શન કરવા તેમના ઘાટકોપરના નિવાસસ્થાને પહોંચી ગયા હતા.
ગઈ કાલે સવારે તેમના પાર્થિવ દેહના સોમૈયા સ્મશાનભૂમિમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ગ્રોમા તરફથી જણાવવામાં આવ્યા મુજબ શરદભાઈ છેલ્લાં ૪૦ વર્ષથી ગ્રોમામાં કાર્યરત હતા. વકીલાતનું ભણેલા અને અંગ્રેજી પર સારું પ્રભુત્વ ધરાવતા શરદભાઈ દાણાબંદરની વર્ષો જૂની ઘઉં- ચોખાની પેઢી સફળતાપૂર્વક ચલાવતા હતા. જોકે છેલ્લાં ૧૦ વર્ષથી તેઓ સમાજસેવા અને ગ્રોમાના સંસ્થાકીય કામમાં જ અગ્રેસર રહ્યા હતા. મસ્જિદ ના દાણાબંદરથી વાશીમાં માર્કેટ શિફ્ટ કરવામાં આવી ત્યારે પણ એમાં તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
સરકારી અધિકારીઓ સાથે કાયદાકીય ભાષામાં કુનેહપૂર્વક વાત કરીને કોઈ પણ સમસ્યાનું નિરાકારણ લાવવાની તેમનામાં આવડત હતી અને આમ તેમણે સંસ્થાના વિકાસ માં બહુ મોટો ફાળો આપ્યો હતો. ૨૮ વર્ષ સુધી તેઓ ગ્રોમાના અધ્યક્ષપદે રહ્યા.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw