લોકસભાની પાંચમા અને છેલ્લા તબક્કાની ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં મુંબઈ સહિત 13 લોકસભા મતવિસ્તારમાં દિંડોરી અને પાલઘર સિવાય સર્વ જ મતવિસ્તારોમાં બહુ ઓછું મતદાન થયું. ખાસ કરીને મુંબઈમાં અનેક મતવિસ્તારોમાં ગડબડ જોવા મળી હતી. મતદાર યાદીમાં નામ નહીં હોવાની અનેક ફરિયાદી થઈ હતી. મતદાન પ્રક્રિયા અત્યંત ધીમી ગતિથી ચાલતી હતી, જેને લીધે મતદાનમથકની બહાર લાંબી કતારો લાગી હતી.
બીજી બાજુ કાળઝાળ ગરમી હોવાથી લાઈન લગાવવાથી બચવા અનેક મતદારો મત આપ્યા વિના જ પાછા નીકળી ગયા હતા. આ પછી ઉદ્ધવ ઠાકરેએ આકરી ટીકા કરી હતી. હવે મુખ્ય મંત્રી એકનાથ શિંદેએ મંગળવારે ઉચ્ચ સ્તરીય તપાસનો આદેશ આપ્યો છે. મતદાનના દિવસે રેઢિયાળ કારભારની સરકારે ગંભીર નોંધ લીધી છે. 13 મતવિસ્તારમાં ક્યાં અસુવિધા હતી, મતદાનને વિલંબ શા માટે થતો હતો, હોસ્પિટલમાં કોને દાખલ કરપવવા પડ્યા વગેરે સર્વ બાબતની તપાસ હવે કરવામાં આવશે.
શિંદેએ મુખ્ય સચિવ નીતિન કરીરને તપાસ કરવાનો આદેશ આપ્યો છે. આથી હવે મુખ્ય સચિવ તાકીદન ધોરણે મુંબઈમાં મતદાર યાદીમાં ગોટાળા, ગડબડની વિશેષ સમિતિ નીમીને તપાસ કરશે. દરમિયાન અનેક મતવિસ્તારમાં બોગસ મતદાન થયું હોવાનો આરોપ પણ થયો હતો.
ગોરેગાવ પૂર્વ આરે કોલોનીમાં શિંદે જૂથના રવીંદ્ર વાયકરે ઠાકરે જૂથના અમોલ કીર્તિકરના કાર્યકરો ડમી ઈવીએમ મશીન લઈને બેઠા છે એવો આરોપ કર્યો હતો. આ મુદ્દે વાયકરની ચૂંટણી અધિકારી સાથે બોલાચાલી પણ થઈ હતી. ભિવંડીમાં સાંજે 4.00 પછી બોગસ મતદાન થયું હોવાનો આરોપ કેન્દ્રીય મંત્રી કપિલ પાટીલે કર્યો હતો. થાણેમાં ઠાકરે જૂથના ઉમેદવાર રાજન વિચારેએ બોગસ મતદાન થઈ રહ્યું હોવાનો આરોપ કર્યો હતો.