અમદાવાદના અસારવા વિસ્તારમાં નીલકંઠ મહાદેવનું પૌરાણિક મંદિર આવેલું છે. અહીં ભગવાન શિવજીનું લિંગ સ્વયંભૂ પ્રગટ થયેલું છે. અજ્ઞાતવાસમાં પાંડવોએ પણ નીલકંઠ મહાદેવની પૂજા કરતા હતા હોવાની માન્યતા છે.
અમદાવાદ: મહાશિવરાત્રિ પર્વ પર ભગવાન ભોળાનાથના યોગ અને તપથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. તેવા દેવોના દેવ મહાદેવનું પ્રસિદ્ધ મંદિર અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલું છે. અહીં શ્રદ્ધા અને વિશ્વાસ સાથે મહાદેવના દર્શન કરવા લોકો દૂર દૂરથી આવે છે. અહીં જાણો પૌરાણિક મંદિર નીલકંઠ મહાદેવ વિશે.
નીલકંઠ મહાદેવનું ભવ્ય શિવાલય અમદાવાદના અસારવા વિસ્તારમાં સ્થિત છે. કહેવાય છે કે, શિવાલયમાં રહેલા પવિત્ર શિવલિંગના દર્શન કરતા જ ભક્તો મંત્રમુગ્ધ બની જાય છે. કારણ કે, આ શિવલિંગ હજારો વર્ષ પહેલા જમીનમાંથી સ્વયંભૂ રીતે પ્રગટ થયું હતુ. જેનો ઈતિહાસ પાંડવો સાથે પણ જોડાયેલો છે. ઓમ નમઃ શિવાય મંત્રનો નિરતંર જાપ કરવાથી આધિ, વ્યાધી અને ઉપાધિમાંથી મુક્તિ મેળવવા ભક્તજન અહીં આવી શિવની આરાધના કરે છે.
સંસ્થાના ગાદીપતિ ઓમાનંદગિરિ મહારાજ સાથે વાત કરતા જણાવ્યું કે, સ્વામી હીરાપુરીજી દ્વારા દશનામી સ્વતંત્ર નિરંજની નીલકંઠ અખાડાની સ્થાપના કરવામાં આવી હતી અને સ્વામી હીરાપુરીજી મહારાજ મનોહરનાથગિરિજી મહારાજના સાધક શિષ્ય હતા. પરંતુ મનોહરનાથગિરિજીના અંતિમ સમયમાં તેમણે તેમની ગાદી શંભુગિરિજીને અને હીરાપુરીજીને ભભૂતિ અને અન્નાપૂર્ણા માતાની મૂર્તિ આપી હતી.
અને કહ્યું હતું કે, આ ભભૂતિ અને મૂર્તિ લઈને અમદાવાદ જજો. ત્યા તમને યોગ-ધ્યાનથી જે જગ્યાએ ચૈતન્ય અગ્નિ મળે ત્યા બેસી જજો. ત્યારબાદ હીરાપુરીજી વિચરણ કરતા કરતા અમદાવાદ આવ્યા. જ્યા તેમને અસારવા ગામમાં એક કનેરના વૃક્ષ નીચે ચૈતન્ય ધૂની પ્રાપ્ત થઈ. ત્યારબાદ તેમણે એ સ્થાન પર મહાદેવનું મંદિર બનાવવાનું નક્કી કર્યું.
આ મંદિરના ખોદકામ કરતા ત્યાથી ગણપતિજી અને હનુમાનજીની મૂર્તિ નીકળી. સાથે મહાદેવજીનું શિવલિંગ પણ નીકળ્યુ. મંદિરના નિર્માણ કાર્ય બાદ એ મંદિરમાં જમીનમાંથી નીકળેલ મૂર્તિઓ અને શિવલિંગની સ્થાપના કરી એ મંદિરનું નામ નીલકંઠ મહાદેવ રાખવામાં આવ્યું હતું.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/FUuyFAF4F2mJbjriRJ3hLH