નવજોત કૌર સિદ્ધુએ કહ્યું કે, તેમના પતિ નવજોત સિંહ સિદ્ધુ રાજકારણમાં સક્રિય વાપસી ત્યારે જ કરશે જ્યારે કોંગ્રેસ તેમને સત્તાવાર રીતે મુખ્યમંત્રી ઉમેદવાર તરીકે જાહેર કરશે.
કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ ધારાસભ્ય નવજોત કૌર સિદ્ધુના એક નિવેદનથી પંજાબના રાજકારણમાં મોટો વિવાદ ઉભો થયો છે. તેમણે દાવો કર્યો હતો કે પંજાબના મુખ્યમંત્રી બનવા માટે “₹500 કરોડનું સુટકેસ” જરૂરી છે. તેમના નિવેદનથી માત્ર વિપક્ષને તક મળી નથી પરંતુ કોંગ્રેસ પાર્ટીમાં પણ ખળભળાટ મચી ગયો છે.
“અમારી પાસે 500 કરોડ રૂપિયા નથી…”
નવજોત કૌર સિદ્ધુએ જણાવ્યું હતું કે, તેમના પતિ નવજોત સિંહ સિદ્ધુ ત્યારે જ સક્રિય રાજકારણમાં પાછા ફરશે જો કોંગ્રેસ તેમને સત્તાવાર રીતે મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરે. તેમણે કહ્યું હતું કે, તેમની પાસે મુખ્યમંત્રી પદ ખરીદવા માટે પૂરતા પૈસા નથી. તેમણે આરોપ લગાવ્યો હતો કે, જે કોઈ 500 કરોડ રૂપિયાવાળી સુટકેસ આપે છે તે મુખ્યમંત્રી બને છે. જોકે, તેમણે સ્પષ્ટતા કરી હતી કે, કોઈએ તેમની પાસે પૈસા માંગ્યા નથી, પરંતુ સિસ્ટમ આ રીતે કામ કરે છે.

કોંગ્રેસમાં જૂથવાદના આરોપો
તેમણે આરોપ લગાવ્યો કે, પંજાબ કોંગ્રેસમાં ગંભીર જૂથવાદ છે, અને ઓછામાં ઓછા પાંચ પાર્ટી નેતાઓ મુખ્યમંત્રી પદ માટે સ્પર્ધા કરી રહ્યા છે. તેમના મતે, આ નેતાઓ સિદ્ધુને મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરવા માંગતા નથી.
ભાજપે સાધ્યું નિશાન
ભાજપે તરત જ તેમના નિવેદન પર પ્રતિક્રિયા આપી, કોંગ્રેસ પર ગંભીર આરોપો લગાવ્યા. ભાજપના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે, આ નિવેદન સાબિત કરે છે કે કોંગ્રેસમાં ભ્રષ્ટાચાર વ્યાપક છે, ટોચના નેતૃત્વથી લઈને સ્ટાફ સુધી. પંજાબ ભાજપ પ્રમુખ સુનીલ જાખડે એવો પણ આરોપ લગાવ્યો કે તેમણે અગાઉ સાંભળ્યું હતું કે કોંગ્રેસના ભૂતપૂર્વ મુખ્યમંત્રીએ પદ મેળવવા માટે ₹350 કરોડ સુધીનો ખર્ચ કર્યો હતો.
AAP સરકાર પર પણ નિશાન સાધ્યું
સુનીલ જાખરે આ વિવાદ દરમિયાન આમ આદમી પાર્ટી સરકાર પર પણ નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે, પંજાબમાં કાયદો અને વ્યવસ્થા કથળી ગઈ છે અને રાજ્ય પોલીસ તંત્ર “વર્દીમાં ગુંડાઓ” જેવું વર્તન કરી રહ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે પંજાબમાં હવે જવાબદારી અને મજબૂત નેતૃત્વની જરૂર છે, તેથી ભાજપને તક આપવી જોઈએ.

સિદ્ધુ હાલમાં રાજકારણથી દૂર
નવજોત સિંહ સિદ્ધુ છેલ્લા કેટલાક સમયથી સક્રિય રાજકારણથી દૂર છે. તેઓ ન તો કોંગ્રેસના કાર્યક્રમોમાં જોવા મળ્યા છે કે ન તો લોકસભા ચૂંટણીમાં પ્રચાર કર્યો છે. તેઓ હાલમાં, અંગત જીવન અને સોશિયલ મીડિયા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. આ સમગ્ર વિવાદ પર આમ આદમી પાર્ટી સરકાર તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
