
મુંબઈની મેટ્રો-3 એક્વા લાઇનના કેટલાક અન્ડરગ્રાઉન્ડ સ્ટેશનમાં સોમવારે ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયું હતું. મેટ્રો-3ના આચાર્ય અત્રે ચોક સ્ટેશનમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા અને સ્ટેશનમાં પાણી ભરાઈ ગયું હતું. આ ઘટનાને મુસાફરોએ કેમેરામાં કેદ કરીને સોશિયલ મિડિયા પર વાઈરલ કર્યા પછી આ મામલે મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (એમઆરસીએલ) દ્વારા સત્તાવાર સ્પષ્ટીકરણ બહાર પડાયું હતું.
એમઆરસીએલના જણાવ્યા અનુસાર ભારે વરસાદને કારણે મુંબઈ મેટ્રો-3ના રેલવે સ્ટેશન આચાર્ય અત્રે ચોક સ્ટેશન પાસે એક રક્ષણાત્મક દીવાલ ધરાશાયી થઈ ગઈ, જેના કારણે ભૂગર્ભ સ્ટેશનમાં પાણી ઘૂસી ગયું. જોકે એક વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે, આ સ્ટેશન પરનું કામ હજુ પૂર્ણ થયું નથી. તેથી, જે માર્ગે આ પાણી પ્રવેશ્યું તે માર્ગ આગમન કે પ્રસ્થાન માટે ઉપયોગમાં લેવાતો નહોતો. ત્યાંનું કાયમી કામ હજુ પૂર્ણ થયું નથી. આ કાયમી કાર્ય આગામી 3 મહિનામાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે.

જોકે પાણી પ્રવેશતું અટકાવવા માટે કામચલાઉ રક્ષણાત્મક દીવાલ બનાવવાનું કામ તરત જ શરૂ થયું. આ સમગ્ર કાર્ય 10 જૂન સુધીમાં પૂર્ણ થવાનો અંદાજ હતો. જોકે વરસાદ વહેલો આવી ગયો. નજીકના વિસ્તારોમાં પાણી ભરાવા અને ભારે વરસાદને કારણે તે તૂટી પડ્યું. સાવચેતીનાં પગલાં તરીકે, વરલીથી આચાર્ય અત્રે ચોક સુધીની મેટ્રો સેવાને અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી છે, જ્યારે આરે જેવીએલઆરથી વરલી સુધી ભૂગર્ભ મેટ્રો ટ્રાફિક સરળતાથી ચાલી રહ્યો છે. મેટ્રો-3ના એન્જિનિયરો અને સુરક્ષા ટીમો યુદ્ધના ધોરણે કામ કરી રહી છે. મુસાફરોની સલામતી અમારી ટોચની પ્રાથમિકતા છે.
દરમિયાન થોડા દિવસો પહેલાં ઉદઘાટન કરાયેલા મેટ્રો-3 લાઈનના ભાગ બે પરના રૂટ પરના અમુક સ્ટેશનમાં સોમવારે અચાનક અને ભારે વરસાદને કારણે પાણી ભરાઇ ગયા હતા અને તે અંગે તસવીરો વાઈરલ થઈ હતી, જેમાં ડૉ. એની બેસન્ટ રોડ પર સ્થિત આચાર્ય અત્રેય ચોક સ્ટેશનના નિર્માણાધીન પ્રવેશ-એક્ઝિટ માળખામાં પાણી ટપકવાની જાણ થઈ હતી. આ ઘટના ત્યારે બની જ્યારે પ્રવેશ-એક્ઝિટ પર બાંધવામાં આવેલી આરસીસી વોટર-રિટેનિંગ દિવાલ બાજુની યુટિલિટીમાંથી અચાનક પાણી ઘૂસી જવાને કારણે તૂટી પડી હતી. સ્ટેશનમાં પાણી ભરાઈ જવાના કારણે મુસાફરો કફોડી સ્થિતીમાં મુકાયા હતા, અને આ મામલે સોશ્યલ મીડીયા પર આકરી ટીકાઓનો વરસાદ શરૂ થયો હતો.

