પર્યાવરણને અનુકૂળ અને આધુનિક: બેટરી સંચાલિત નવી ટ્રેનનું પીયૂષ ગોયલના હસ્તે ઉદ્ઘાટન, કાચની મોટી બારીઓ ધરાવતા વિસ્ટાડોમ કોચમાં વન્યજીવોને નજીકથી જોવાનો લ્હાવો મળશે.
મુંબઈના બોરીવલી સ્થિત સંજય ગાંધી નેશનલ પાર્ક (SGNP) નું મુખ્ય આકર્ષણ ગણાતી ‘વન રાણી’ ટોય ટ્રેન લાંબા સમયના વિરામ બાદ હવે સંપૂર્ણપણે નવા અને આધુનિક અવતારમાં પ્રવાસીઓ માટે શરૂ કરવામાં આવી છે. આ નવી ટ્રેન માત્ર આધુનિક જ નથી, પરંતુ પર્યાવરણને અનુકૂળ એવી બેટરી-ઓપરેંટેડ ટેકનોલોજીથી સજ્જ છે, જેના કારણે જંગલમાં અવાજ અને ધુમાડાનું પ્રદૂષણ ઘટશે.કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ અને મહારાષ્ટ્રના વન મંત્રી ગણેશ નાઈકના હસ્તે આ સેવાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ટ્રેન કૃષ્ણગિરી ઉપવન વિસ્તારમાં તૈયાર કરવામાં આવેલા ૨.૭ કિમી લાંબા ટ્રેક પર પોતાની સફર પૂર્ણ કરશે.

નવી ‘વન રાણી’ માં મુસાફરો માટે સૌથી મોટું આકર્ષણ તેના વિસ્ટાડોમ કોચ છે. આ કોચમાં મોટી કાચની બારીઓ અને આધુનિક ડિઝાઈન આપવામાં આવી છે, જેનાથી પ્રવાસીઓ જંગલની હરિયાળી, વન્યજીવો અને પક્ષીઓનો નજારો ખૂબ જ નજીકથી અને સ્પષ્ટ રીતે માણી શકશે. ટ્રેનમાં કુલ ત્રણ આધુનિક કોચ છે, જેમાં એકસાથે ૭૦ થી ૮૦ મુસાફરો મુસાફરી કરી શકશે.
આ ટ્રેન સેવા પ્રવાસીઓ માટે સવારે ૯:૦૦ થી સાંજે ૫:૩૦ સુધી કાર્યરત રહેશે. પ્રવાસીઓએ નોંધ લેવી કે દર સોમવારે સંજય ગાંધી નેશનલ પાર્ક બંધ રહેતો હોવાથી તે દિવસે ટ્રેન સેવા પણ બંધ રહેશે. ટ્રેનની ટિકિટ પાર્કના એન્ટ્રી ગેટ અથવા કૃષ્ણગિરી ઉપવનના સ્ટેશન પરથી મેળવી શકાશે. પ્રવાસનને વેગ અને વન્યજીવોની સુરક્ષા ઉદ્ઘાટન પ્રસંગે મંત્રીઓએ જણાવ્યું હતું કે, ટ્રેન બેટરી સંચાલિત હોવાથી વન્યજીવો માટે તે રાહતરૂપ બનશે કારણ કે તેનાથી અવાજનું પ્રદૂષણ નહિવત રહેશે. આ નવી સેવા મુંબઈના પ્રવાસનમાં વધારો કરશે અને ખાસ કરીને બાળકો માટે પ્રકૃતિના અભ્યાસ સાથે આનંદનું એક ઉત્તમ માધ્યમ બની રહેશે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
