
મુંબઈમાં ગઈ કાલે વહેલી સવારથી ભારે વરસાદને કારણે ટ્રેકના મુખ્ય ભાગોમાં પાણી ભરાઈ જવાને કારણે જીવનરેખા ગણાતી મધ્ય રેલવે પર લોકલ ટ્રેન સેવાઓ ખોરવાઈ ગઈ હતી. આ વિક્ષેપને કારણે હાર્બર અને મેઈન લાઈનો પણ ઠપ્પ થઈ ગઈ હતી. જેના કારણે હજારો મુસાફરો અટવાઈ ગયા હતા અને મુખ્ય સ્ટેશનો મુસાફરોનો ઘસારો વધી ગયો હતો. જેમાં ઘણી ટ્રેનો મોડી પડી હતી, રદ્દ કરવામાં આવી હતી અથવા ટૂંકા ગાળા માટે બંધ કરવામાં આવી હતી. તો પશ્ચિમ રેલવેની લોકલ ટ્રેનો પણ મોડી દોડી હતી. જેથી પીકઅવર્સ દરમિયાન લાખો મુસાફરોને હાલાકી ભોગવવી પડી હતી.
ભારે વરસાદને કારણે સેંકડો મુસાફરો પીકઅવર્સ દરમિયાન લોકલ ટ્રેનની રાહમાં કલાકો સ્ટેશન પર ઉભા રહ્યા હતા. ભારે વરસાદને કારણે મધ્ય રેલવે પર મસ્જિદ, ભાયખલા, દાદર અને માટુંગા અને બદલાપુર સ્ટેશનો પર ૩- ૪ ઈંચ પાણી ભરાવાના કારણે ટ્રેક પાણીમાં ડૂબી ગયા હતા. જેના કારણે સવારના વ્યક્ત કલાકોમાં ટ્રેન સેવાઓમાં વિલંબ થયો હતો. તો હાર્બર લાઈન પર આઠ ઈંચથી વધુ વરસાદને પગલે પાણી ભરાયા હોવાથી વડાલા રોડ અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ વચ્ચે સવારે ૧૦.૨૫ વાગ્યાથી ઉપનગરીય ટ્રેન સેવાઓ સ્થગિત કરવામાં આવી હતી.
આના કારણે સીએસએમટીની લોકલ ટ્રેન સેવા ઠપ્પ થઈ ગઈ હતી. ઉપરાંત કુર્લા પહોંચેલી લોકલ ટ્રેનોે કુર્લા સ્ટેશનથી જ પાછી વાળવામાં આવી હતી. આના કારણે કુર્લા – સીએસએમટી વચ્ચે લોકલ સેવા પણ ખોરવાઈ ગઈ હતી. તો સાંજે ચાર વાગ્યા સુધી દાદર/પરેલ ખાતે લગભગ ૨૦ લોકલ ટ્રેનો ટૂંકા ગાળા માટે રદ્દ કરવામાં આવી હતી અને વડાલા રોડ અને સીએસએમટી વચ્ચે સવારે ૧૦.૩૦ થી ૧૧.૩૦ વાગ્યા સુધી ટ્રાફિક સ્થગિત થવાને કારણે ૩૦ લોકલ ટ્રેનો રદ્દ કરવામાં આવી હતી. ઉપરાંત ભારે વરસાદને કારણે લગભગ ૮ મેલ એક્સપ્રેસ ટ્રેનો લગભગ બે કલાક મોડી પડી હતી.

વધુમાં ભાયખલા અને સીએસએમટી વચ્ચે પાણી ભરાવવાના કારણે કુર્લા, દાદર અને પરેલ ખાતે કેટલીક લોકલ સેવાઓ ટૂંકા ગાળા માટે કરવામાં આવી હતી. જેમાં ડાઉન ફાસ્ટ લાઈન ૧૨.૩૦ વાગ્યા સુધીમાં પુનઃસ્થાપિત કરવામાં આવી હતી. ઉપરાંત સીએસએમટી યાર્ડમાં પણ ભારે પાણી ભરાઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું. જેના કારણે અપ થુ્ર લાઈનો પ્રભાવિત થઈ હતી. જેના કારણે પ્લેટફોર્મ પ, ૬, ૭, ૧૦ થી ૧૮ સુધી ટ્રેનોની અવરજવર ખોરવાઈ હતી. સાંજે મધ્ય અને હાર્બર લાઈન પર ફાસ્ટ અને સ્લો લાઈનની સેવાઓ પૂર્વવત કરવામાં આવી છે. જો કે હજુ પણ ટ્રેનો સમયપત્ર કરતા મોડી દોડી રહી છે.
તો બીજી તરફ પશ્ચિમ રેલવે પર પાણી ભરાવવાની કોઈ અસર થઈ નહતી. જો કે, ભારે વરસાદ અને ધુમ્મસ વચ્ચે ઓછી દ્રશ્યતાને કારણે પશ્ચિમ લાઈન પર ટ્રેનો પણ સમયપત્રક કરતાં ૭-૮ મિનિટ મોડી દોડી રહી હતી. તો પશ્ચિમ રેલવેના લોઅર પરેલ સ્ટેશન નજીક સવારે રેલવે ટ્રેક પર વૃક્ષ ધરાશાયી થતાં લોકલ સેવાઓ ખોરવાઈ હતી. આ ઘટના બાદ રેલવે કર્મચારીઓ તરત જ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને રેલવે ટ્રેક પરથી વૃક્ષની ડાળીઓ દૂર કરી હતી. આ તમામ ઘટનાને કારણે પશ્ચિમ રેલવેની લોકલ ટ્રેનો ૧૫થી ૨૦ મિનિટ મોડી દોડી રહી હતી. જેના કારણે મુસાફરોને ઘણી હાલાકી ભોગવવી પડી હતી.
પ્રભાદેવી રેલવે સ્ટેશનની બહારનો વિસ્તાર આજે સવારે ઘુંટણ સુધી પાણી ભરાઈ ગયા હોવાથી ગટરો ઓવરફલો થતા આખો કચરો પાણીમાં તરતો જોવા મળ્યો હતો. જેથી રેલવે સ્ટેશન પાસે અસહ્ય દુર્ગંધ ફેલાઈ ગઈ હતી. રેલવે સ્ટેશનની બહાર પાણી જવા પર રહેવાસીઓએ રોષ વ્યક્ત કર્યો હતો અને પાણી ભરાઈ જવાનો અંત લાવવાની તેમની છ વર્ષ જૂની માંગણીને પૂનરાવર્તિત કરી હતી.

ચોમાસાનું આગમન થતા જ પહેલા વરસાદમાં મુંબઈની ઉપનગરીય રેલ સેવા ખોરવાઈ જવાથી રેલવે પ્રશાસને આ માટે મુંબઈ મહાપાલિકા પ્રશાનને જવાબદાર ઠેરવ્યું હતં. દર વર્ષે મુંબઈ મહાપાલિકા રેલવે ટ્રેક પરના ગટરોને સાફ કરવા માટે રેલવે વહીવટીતંત્રને ભંડોળ પુરુ પાડે છે. જો કે, આ ગટર સફાઈ હાથ ધરવામાં આવી હતી કે નહીં તે અંગે પણ હવે પ્રશ્નો ઉભા થયા છે. જો કે આ મામલે પાલિકા તરફથી હજુ સુધી કોઈ જવાબ આવ્યો નથી. આ સમયગાળા દરમિયાન ઘણા મુસાફરોએ પણ એક્સ પર રેલવે ટ્રેક પર પાણી ભરાતા થયેલી મુશ્કેલીઓની પોસ્ટો સાંજ સુધી શેર કરી હતી. જેમાં લોકોએ રેલવે પ્રશાસન અને પાલિકા સામે રોષ વ્યક્ત કર્યો હતો.
