આંખનું જતન કરવું ખૂબ જરૂરી છે. ખાસ કરીને આજના સમયમાં જ્યારે લોકોનો સ્ક્રીન ટાઈમ કલાકોનો છે ત્યારે આંખની સમસ્યા વધતી જાય છે. આ સ્થિતિમાં આંખને ખરાબ થતી અટકાવવા માટે ઘી લગાડી શકાય છે.
આપણા ઘરના રસોડામાં એવી ઘણી બધી વસ્તુઓ છે જેનું આયુર્વેદમાં ખૂબ જ મહત્વ છે. આ વસ્તુઓનો ઉપયોગ અલગ અલગ સમસ્યામાં ઔષધી તરીકે પણ કરવામાં આવે છે. આવી જ અમૃતતુલ્ય વસ્તુ છે ઘી. શુદ્ધ દેશી ઘી ચહેરા, વાળ, સ્વાસ્થ્ય અને આંખ માટે અમૃત સમાન સાબિત થઈ શકે છે. જો તમારો સ્ક્રીન ટાઈમ પણ કલાકોનો છે તો આંખનું સ્વાસ્થ્ય સારું રહે અને આંખ સંબંધિત સમસ્યાઓ દૂર થાય તે માટે આંખનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.
આંખ સંબંધિત સમસ્યા હોય તો તેને દૂર કરવા અને ભવિષ્યમાં આંખ સંબંધિત સમસ્યાઓ ન થાય તે માટે ઘી નો ઉપયોગ કરી શકાય છે. આંખમાં ઘીનો લગાડવાથી આંખ હેલ્ધી રહે છે અને સાથે જ કેટલીક સમસ્યાઓ દૂર પણ થઈ શકે છે.

આંખમાં ઘી કેવી રીતે લગાડવું ?
આયુર્વેદિક નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર આંખમાં ઘી લગાડતી વખતે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. સૌથી પહેલા તો શુદ્ધ ઘીનો જ ઉપયોગ કરવો. આ ઘી પણ ગાયના દૂધમાંથી બનેલું હોય તેવું વાપરવું. આંખમાં ઘી રાતના સમયે લગાડવું જોઈએ. ઘીને આંખમાં જે રીતે તમે કાજલ લગાડતા હોય તે રીતે લગાડવાનું હોય છે. એટલે કે ઘીના ટીપા આંખમાં જાય તે રીતે નહીં પરંતુ ઘી વાળી આંગળી કરીને કાજલ લગાડતા હોય તે રીતે જ થોડું ઘી લગાડી દેવું.
આંખમાં ઘી લગાડવાથી થતા ફાયદા
– આંખમાં ઘી લગાડવાથી આંખની રોશની વધે છે અને બળતરા, ખંજવાળ જેવી તકલીફો દૂર થાય છે.
– આંખનું તેજ વધારવાનો આ પ્રાચીન ઉપાય.
– આંખમાં ઘી લગાડવાથી થાક દૂર થાય છે અને આંખને આરામ તેમજ ઠંડક મળે છે.
– શુદ્ધ ઘીમાં વિટામિન એ, કેલ્શિયમ, ફોસ્ફરસ જેવા પોષક તત્વો હોય છે જે આંખના સ્વાસ્થ્યને સુધારે છે.
– ઘી લગાડવાથી આંખને જરૂરી પોષણ મળે છે અને આંખ નીચેની સ્કીનની ડાર્કનેસ પણ ઓછી થઈ શકે છે.
આ રીતે પણ રાખી શકો છો આંખનું ધ્યાન

1. આંખની દેખરેખ કરવા માટે આ આયુર્વેદિક ઉપાય ઉપરાંત કેટલીક ટીપ્સ પણ અજમાવી શકો છો. જેમ કે તમારો સ્ક્રીન ટાઈમ વધારે હોય તો દર કલાકે બંને હાથની હથેળીને આંખ ઉપર રાખો. 30 સેકન્ડ માટે હથેળી રાખો અને પછી હથેળી હટાવી આંખને ખોલો.
2. દર 30 મિનિટે પાંપણ 10 થી 15 વખત ઝબકાવો. તેનાથી ડ્રાય આઈ સિન્ડ્રોમ દૂર થાય છે અને આંખના મસલ્સ રિલેક્સ રહે છે.
3. રાત્રે ચંદ્ર જોવાથી પણ આંખને ફાયદો થાય છે.
4. જે લોકો કલાકો સુધી કોમ્પ્યુટર, લેપટોપ કે મોબાઈલ સામે બેસીને સમય પસાર કરતા હોય તેમણે દર થોડી થોડી મિનિટે આંખ ઠંડા પાણીથી સાફ કરવી જોઈએ તેનાથી આંખનું ટેમ્પરેચર રેગ્યુલેટ રહે છે.

