
મુંબઈ શહેર ભાગના મહત્વના છ પુલોનું આયખુ જોતા તેમનું રિપેરીંગ કરવાનો નિર્ણય મુંબઈ મહાપાલિકાએ લીધો છે. આ છ પુલમાં હિંદમાતા, લાલબાગ ફ્લાયઓવરનો સમાવેશ છે. આ કામ માટે કોન્ટ્રેક્ટરની નિયુક્તી કરવામાં આવી છે અને 15 કરોડ રૂપિયા કરતા વધુનો ખર્ચ થશે.
મુંબઈ મહાપાલિકાએ 2024-25માં રસ્તા, પરિવહન અને પુલ વિભાગ માટે કુલ 12 હજાર 110 કરોડ 97 લાખ રૂપિયાની જોગવાઈ કરી છે. એમાંથી પુલના કામ માટે 7 હજાર 710 કરોડ રૂપિયા ખર્ચ કરવાનો નિર્ણય લીધો. એમાંથી મોટા ભાગના નવા કામ માટે ભંડોળ મંજૂર કરવામાં આવ્યું. 2025-26ના બજેટમાં પુલ વિભાગ માટે 8 હજાર 238 કરોડ 73 લાખ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. તેથી નવા પુલ સહિત હાલ છે એવા પુલોના રિપેરીંગનું કામ કરવામાં આવશે.

એમાં મુંબઈ શહેર ભાગના જૂના પુલોનો સમાવેશ છે. લાલબાગ, હિંદમાતા, જગન્નાથ શંકરશેટ (દાદર ટીટી) ફ્લાયઓવર, કવિવર્ય કેશવસૂત ફ્લાયઓવર, સાયન હોસ્પિટલ ફ્લાયઓવર, જીટીબી નગર આરઓબીનો સમાવેશ છે. આ પુલ પરથી ગણેશોત્સવના સમયમાં મોટી ગણપતિ મૂર્તિઓ લઈ જતા તકેદારી રાખવાની હાકલ મુંબઈ મહાપાલિકા અને પરિવહન પોલીસ તરફથી હંમેશા કરવામાં આવે છે. આ પુલના રસ્તાની દુર્દશા થઈ છે. એની સપાટી ફરીથી સરખી કરવાની જરૂર છે.
તેમ જ પુલોના થાંભલા સહિત અન્ય રિપેરીંગ કામ કરવામાં આવશે. એના લીધે પુલોનું આયખુ વધશે એમ મહાપાલિકા જણાવે છે. આ કામ માટે ટેંડર કાઢવામાં આવ્યા હતા. એનો પ્રતિસાદ મળ્યો છે. એના માટે 15 કરોડ 89 લાખ 32 હજાર રૂપિયા ખર્ચ થશે. પુલના કામ ચોમાસાનો સમયગાળો છોડીને 15 મહિનામાં પૂરા કરવાનો ઉદ્દેશ છે.

