રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી ચૂકી છે. આથી બધા જ પક્ષો પોતપોતાની રીતે તૈયારી કરી રહ્યા છે. આવા સંજોગોમાં મુખ્ય મંત્રી એકનાથ શિંદેએ પણ પોતાના પક્ષ માટે મોટી યોજના ઘડી કાઢી છે. ખાસ કરીને લાડકી બહેન યોજનાનો લાભ લીધેલી 42.80 લાખ મહિલાઓ સુધી પહોંચવાનું નિયોજન કરવામાં આવી રહ્યું છે. આ માટે સોમવારે મુખ્ય મંત્રીના સત્તાવાર નિવાસસ્થાન વર્ષા ખાતે શિંદેએ પોતાના પક્ષના વિધાનસભ્યો અને જિલ્લા પ્રમુખો સાથે વિશેષ બેઠકનું આયોજન કર્યું છે.
મહાયુતિ સરકારની એક મહત્ત્વાકાંક્ષી યોજના તરીકે લાડકી બહેન યોજના તરફ જોવામાં આવે છે. ખાસ કરીને લોકસભાની ચૂંટણીમાં પછડાટ મળ્યા પછી લાવવામાં આવેલી આ યોજનાએ મહિલાઓમાં ભારે ઘેલું લગાવ્યું છે. અમુક શરતોનું પાલન કરવા પર દરેક મહિને મહિલાઓનાં બેન્ક ખાતાંમાં રૂ. 3000 જમા થવાના છે. આ યોજનાનો હવે વધુમાં વધુ રાજકીય ફાયદો થાય તે માટે મહાયુતિના સર્વ પક્ષોએ કમર કસી છે. શિવસેનાએ તે માટે એક મોટી યોજના તૈયાર કરી હોઈ તે થકી સર્વ મહિલાઓ સુધી પહોંચવાનું નિયોજન કરવામાં આવ્યું છે.
આગામી વિધાનસભાની ચૂંટણી માટે દરેક ઘરો સુધી, દરેક મતદારો સુધી પહોંચવાનો શિંદે સેનાનો પ્રયાસ રહેશે. આ માટે ખુદ મુખ્ય મંત્રી એકનાથ શિંદે દરેક વિધાનસભ્ય અને જિલ્લા પ્રમુખો સાથે ચર્ચા કરવાના છે. જે લોકો આ બેઠકમાં હાજર નહીં રહી શકે તેઓ ઝૂમ મિટિંગથી ચર્ચામાં ભાગ લઈ શકશે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
રાજ્યના જે વિધાનસભા મતવિસ્તાર શિવસેનાને અપેક્ષિત છે, પક્ષને તે મળવાની સંભાવના છે તે મતવિસ્તારો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આવા મતવિસ્તારમાં 42 લાખ 80 હજાર મહિલાઓ સુધી શિવસૈનિકોને પહોંચડવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. દરેક શિવસૈનિકોએ આ મહિલાઓ સુધી પહોંચવું એવી સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. આ સાથે ખુદ મુખ્ય મંત્રીએ લખેલા લખાણવાળો પત્ર પણ આ મહિલાઓને આપવામાં આવશે. તે થકી સીધા લોકો સુધી પહોંચવાનો નવો પ્રયાસ શિંદે સેના દ્વારા કરવામાં આવશે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
મહાયુતિના અન્ય પક્ષો પણ રેસમાં
દરમિયાન મહાયુતિના અન્ય પક્ષો પણ લાડકી બહેન યોજનાનો આગામી વિધાનસભામાં ફાયદો થાય તે માટે કોઈ કસર બાકી રાખવા માગતા નથી. ખાસ કરીને મુંબઈમાં અનેક ઠેકાણે ઉપ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસનાં પોસ્ટરો લાગ્યાં છે, જેમાં મહિલાઓને આ યોજનાથી કઈ રીતે લાભ થઈ રહ્યો છે તે બતાવવામાં આવ્યું છે. આ જ રીતે ઉપ મુખ્ય મંત્રી અજિત પવારે તો રાજ્યવ્યાપી યાત્રા કાઢીને યોજનાનો પ્રચાર મોટે પાયે શરૂ કર્યો છે. જોકે આગામી ચૂંટણીમાં મહાયુતિને તેનો કેટલો લાભ થશે તે તો પરિણામો જ કહી આપશે. આથી તે માટે વાટ જોવી પડશે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw