
મુલુંડમાં રહેતા જાનેશ્વર પાટિલની પુત્રી સ્નેહા જેના લગ્ન નવી મુંબઈમાં રહેતા અજિંક્ય પાટિલ સાથે થયા હતા. તે ૧૬ મેના પતિ સાથે ઝઘડો થતાં પિયરમાં પરત આવી હતી. તેના બીજા દિવસે ૧૭ મેના બપોરે બે વાગ્યે એક અજાણ્યો માણસ જાનેશ્વરના ઘરે આવ્યો અને તેની ઓળખમાં એન.આર.આઈ. પોલીસ સ્ટેશનથી પોલીસકર્મી હોવાનું જણાવ્યું હતું તેમજ તેને સી.બી.ડી.-બેલાપુરથી તેની પુત્રી સ્નેહા તેમના ઘરે આવી હોવા અંગે પૂછપરછ કરતાં જણાવ્યું હતું અને સ્નેહાને સાસરે પાછા જવા માટે સમજાવવા માંડ્યો. જોકે, પાટિલ પરિવારને તેના પર શંકા ઉપજતા તેની પૂછપરછ કરતા તેણે તેનું નામ રાજુ દરવસે હોવાનું જણાવ્યું હતું, પરંતુ જાનેશ્વરે તેની વધુ પૂછપરછ કરતા રાજુ તુરંત જ તેમના ઘરમાંથી નીકળી ગયો હતો. જોકે, જાનેશ્વરને તેના પર પૂરી શંકા હોવાથી તેમણે રાજુ વિરૂદ્ધ નવઘર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

