
ઉપ મુખ્ય મંત્રી અને નાણાં મંત્રી અજિત પવાર પર ફરી એક વાર શિંદે સેનાએ બળાપો કાઢ્યો છે. સરકારી ગેસ્ટ હાઉસ સહ્યાદ્રિમાં ઉપ મુખ્ય મંત્રી એકનાથ શિંદેએ શિવસેનાના મંત્રીઓ સાથે સ્વતંત્ર અને મહત્ત્વની બેઠક લીધી હતી. તેમાં શિંદેએ દરેક મંત્રીઓ સાથે વન ટુ વન ચર્ચા કરીને તેમનાં ખાતાંનો કયાસ મેળવ્યો હતો.
આ સંવાદ દરમિયાન અનેક મંત્રીઓએ ઉપ મુખ્ય મંત્રી અજિત પાવર વિશે નારાજી વ્યક્ત કરી હતી. શિંદે જૂથના બધા મંત્રીઓમાં અજિત પવાર વિશે નારાજીનો સૂર હોવાનું ચિત્ર આ બેઠક પરથી સ્પષ્ટ થયું છે.
શિંદેએ કેબિનેટની બેઠક પછી પોતાના પક્ષના મંત્રીઓ સાથે બેઠક લીધી હતી. આ બેઠકમાં શિંદેએ શિંદેનાં દરેક ખાતાંની વિગતવાર માહિતી મેળવી હતી. ખાતાંનાં કામો કેટલાં થયાં, કેટલાં બાકી છે, ભંડોળ મેળવવામાં શું મુશ્કેલી છે, ભવિષ્યમાં કયાં મહત્ત્વનાં કામો હાથમાં લેવાશે, આ બધા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.

શિંદેને મંત્રીઓએ લોકોપયોગી કામો પર ભાર આપવાનો, ફાઈલ્સ પેન્ડિંગ નહીં રાખવાનો અને સામાન્ય લોકો સુધી પહોંચવાની સલાહ આપી હતી.આ બેઠકમાં અજિત પવાર પ્રત્યે તીવ્ર નારાજીનો સૂર નીકળ્યો હતો. શિવસેનાના મંત્રીઓએ શિંદેની સામે ફરિયાદ કરતી વખતે સ્પષ્ટ રીતે કહ્યું કે અજિત પવાર અમારા વિકાસકામોમાં અવરોધ પેદા કરી રહ્યા છે, જેથી શિવસેના જૂથમાં અંતર્ગત નારાજી હોવાનું દેખાયું છે. અગાઉ પણ ભંડોળ વહેંચણી બાબતે મંત્રીઓએ અજિત પવાર વિરુદ્ધ ફરિયાદ કરી હતી.
અજિત પવાર નાણાં મંત્રી છે. જો અમને પૈસા નહીં આપે તો અમે કામ કઈ રીતે કરીશું? એવો પ્રશ્ન આ સમયે શિવસેનાના મંત્રીઓએ ઉપસ્થિત કર્યો હતો. સરકારમાં બધાને સમાન અધિકાર મળવો જોઈએ, એમ કહીને બધાએ એકમતે અજિત પવાર વિરુદ્ધ નારાજી વ્યક્ત કરી હતી. તેની પર શિંદેએ જણાવ્યું કે હું પોતે અજિત પવાર અને મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે આ વિશે વાત કરીશ અને મામલાનો ઉકેલ લાવીશ.
અગાઉ પણ નાણાં ખાતાની ટીકા રાજ્યના સામાજિક ન્યાય મંત્રી સંજય શિરસાટે પોતાના ખાતાના રૂ. 746 કરોડ લાડકી બહેન યોજના માટે વાળ્યા હોવાના મુદ્દા પરથી અજિત પવારની ટીકા કરી હતી. સમાજ કલ્યાણ વિભાગના બજેટની જોગવાઈના રૂ. 746 કરોડનું ભંડોળ લાડકી બહેન યોજના માટે વાળવામાં આવ્યું એ ગેરકાયદે અને અન્યાયકારક છે. આ ખાતાનું ભંડોળ વાળવું હોય તો સ્કોલરશિપ શા માટે આપવી જોઈએ? હોસ્ટેલો શા માટે ચલાવવી જોઈએ? એવો પ્રશ્ન તેમણે કર્યો હતો.

7000 કરોડ અન્યત્ર વાળ્યા સંજય શિરસાટે જણાવ્યું કે આ પૂર્વે પણ મારા ખાતામાંથી રૂ. 7000 કરોડ અન્યત્ર વાળવામાં આવ્યા હતા. તેની મને જાણ પણ કરાઈ નહીં. સામાજિક ખાતાની આવશ્યકતા નહીં હોય તો અથવા તે ખાતાને ભંડોળ આપવાનું જ નહીં હોય તો ખાતું બંધ કરી દો. આ રીતે ભંડોળ અન્યત્ર વાળવું તે નિયમની વિરુદ્ધ છે. જોકે નાણાં ખાતાના મનમાં આવે તે જ સાચું કરે છે. હાલમાં તેમની મનમાની ચાલી રહી છે, એમ પણ તેમણે જણાવ્યું હતું.
