
દિવ્યાંગ બાળકો માટેના મુંબઈ સ્થિત એક શેલ્ટર હોમમાં કથિત રીતે યોજાયેલા દારૂ અને ડાન્સરો સાથે નવા વર્ષની પૂર્વસંધ્યાએ યોજાયેલી પાર્ટી અંગે આઘાત વ્યક્ત કરી બોમ્બે હાઇકોર્ટે સોમવારે અધિકારીઓ સામે તપાસના આદેશ આપ્યા હતા.
મુખ્ય ન્યાયમૂર્તિ આલોક આરાધે અને ન્યાયમૂર્તિ સંદીપ માર્નેની ખંડપીઠે નોંધ્યું હતું કે આ “આઘાતજનક” ઘટનાના ૧૩ વર્ષ થઈ ગયા હોવા છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી. ખંડપીઠે જણાવ્યું હતું કે તે સમયે તપાસ હાથ ધરવામાં આવી હતી એનું આશ્ચર્ય થયું હતું, પરંતુ અધિકારીઓ અથવા ગૃહના અધિક્ષક સામે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી.

હાઈ કોર્ટે દિવ્યાંગ વ્યક્તિઓ માટેના કમિશનરને છ અઠવાડિયામાં તપાસ હાથ ધરવા અને ‘અપરાધી” અધિકારીઓ સામે યોગ્ય કાર્યવાહી અને સજા માટે રાજ્ય સરકારને અહેવાલ રજૂ કરવા આદેશ આપ્યો હતો. ત્રણ મહિનામાં અદાલતમાં કમ્પ્લાયન્સ રિપોર્ટ રજૂ કરવાનો રહેશે. અદાલત સામાજિક કાર્યકર સંગીતા પુણેકર દ્વારા ૨૦૧૪માં દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજી (પીઆઈએલ) પર સુનાવણી કરી રહી હતી.

