
મુંબઈ મહાનગરપાલિકાએ પ્રોપર્ટી ટેક્સમાં ૧૫ ટકા સુધીનો વધારો કર્યો છે. તાજેતરમાં નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે પ્રોપર્ટી ટેક્સધારકોને બિલ મોકલ્યા છે, તેમા આ દર વધારા સાથેના બિલ મોકલવામાં આવ્યા છે. લગભગ એક દાયકા બાદ પ્રોપર્ટી ટેક્સના દરમાં વધારો કરવામાં આવ્યો છે. મુંબઈ મહાનગરપાલિકાની હદમાં આવતા નવ લાખથી વધુ મિલકતધારકો પાસેથી પાલિકા દ્વારા પ્રોપર્ટી ટેક્સ વસૂલ કરવામાં આવે છે.
પ્રોપર્ટી ટેક્સના દરમાં ૧૫ ટકા સુધીનો વધારો કરવાને કારણે ટેક્સધારકોના માથે આર્થિક બોજો પડવાનો છે પણ લાંબા સમયથી દરવધારો અટવાઈ પડયો હતો તેને છેવટે લાગુ કરવામાં આવ્યો છે અને તે મુજબ ટેક્સધારકોને બિલ મોકલી દેવામાં આવ્યા છે. પાલિકાના અસેસમેન્ટ એન્ડ કલેકશન ડિપાર્ટમેન્ટના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ પ્રોપર્ટી ટેક્સના દરમાં ૧૫ ટકા સુધી વધારો કરવામાં આવ્યો છે અને તેથી જે પ્રોપર્ટી ટેક્સધારકને ૧૦,૦૦૦ રૂપિયા સુધીનું બિલ આવતું હતું તેને હવે ૧૧,૫૦૦ રૂપિયાનું બિલ આવશે. પ્રોપર્ટી ટેક્સમાં ૧૫ ટકા મોટો વધારો છે, પણ તે રેડી રેકનરના આધારે તેનાથી પણ ઓછો થઈ શકે છે.

મહારાષ્ટ્ર સરકારે ૩૧ માર્ચ, ૨૦૨૪ના રેડી રેકનરના દરમાં સરેરાશ ૩.૩૯ ટકાનો વધારો કર્યો હતો, જે પ્રોપર્ટીનાના વેલ્યુએશનને અસર કરે છે. રેડી રેકનરના દરમાં વધારો કરવાના સરકારના પગલાં બાદ પ્રોપર્ટી ટેક્સમાં વધારો કરવાનો પ્રસ્તાવ તૈયાર કર્યા બાદ પાલિકા કમિશનરની મંજૂરી બાદ તેને અંતિમ મંજૂરી માટે રાજ્ય સરકારને મોકલવામાં આવ્યો હતો.
નોંધનીય છે કે કેપિટલ વેલ્યુ સિસ્ટમના આધારે પાલિકા પ્રોપર્ટીનું મુંલ્યાકન કરવાના લાંબા સમયથી પડતર અને વણઉકેલાયેલા મુદ્દાને અમલ માટે વિલંબ કરી રહી છે આ એવો મુદો છે જે મુંબઈગરાને માટે અન્યાયી રીતે ભાર વધારી રહ્યો છે. કોર્ટના અનેક સ્પષ્ટ આદેશ છતાં હજી સુધી કોઈ નક્કર પગલા લેવાયાં નથી. જો આ સુધારો થાય તો પ્રોપર્ટી ટેક્સના બિલમાં ૨૦૧૦થી ૨૦૨૪-૨૫ સુધી ૪૦ ટકાનો ઘટાડો થઈ શકે છે એવો દાવો ભૂતપૂર્વ નગરસેવકે કર્યો હતો.
જોકે લાંબા સમયથી ટેક્સ વધારો અટવાઈ પડયો હતો. પાલિકાના નિયમ મુજબ દર પાંચ વર્ષે પ્રોપર્ટી ટેક્સના દરમાં વધારો કરવાનો અધિકાર પાલિકાને છે. છેલ્લો સુધારો ૨૦૧૫-૧૬ની સાલમાં થયો હતો. દર પાંચ વર્ષના નિયમ મુજબ ૨૦૨૦ની સાલમાં ટેક્સના દરમાં વધારો અપેક્ષિત હતો પણ કોરોના મહામારીને કારણે ૨૦૨૨ની સાલ સુધી તેને અમલમાં મૂકી શકાયો નહોતો. ત્યારબાદ જૂન ૨૦૨૨માં રાજય સરકાર બદલાઈ ગઈ હતી, તેને કારણે દરવધારો અટવાઈ પડયો હતો. એ બાદ ૨૦૨૪માં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ હોવાને કારણે ૨૦૨૩માં રાજય સરકારે દરવધારો મુલતવી રાખ્યો હતો.
આ દરમ્યાન ૨૦૨૪ની સાલમાં પાલિકાએ રેડી રેકનરના વેલ્યુના આધારે પ્રોપર્ટી ટેક્સ દર લાગુ નહીં કરવાનો નિર્ણય લીધો હતો અને કહ્યું હતું કે ૨૦૨૫ની સાલમાં સુધારેલા દર લાગુ કરશે. તે મુજબ પાલિકા પ્રશાસને ૧૫ ટકા સુધી વધારો લાગુ કરીને ટેક્સધારકો પાસેથી નવા દરના આધારે ટેક્સ વસૂલ કરવા બિલ મોકલી દીધા છે.

