ગીતાંજલી બોરીવલી જૈન સંઘમાં પૂજ્ય ઉપાધ્યાયશ્રી રાજતિલક વિજયજી, પૂજ્ય પંન્યાસ પ્રવરશ્રી રાજપુણ્ય વિજયજી, પૂજ્ય પંન્યાસ પ્રવરશ્રી રાજસુંદર વિજયજીની નિશ્રામાં શાશ્વતી ઓળીની આરાધના સુંદર ચાલી રહી છે. ગઈકાલે જૈન ધર્મના અંતિમ તીર્થંકર શ્રી મહાવીર સ્વામી ભગવાનનો જન્મ કલ્યાણકના પાવન દિવસ નિમિત્તે પૂજ્ય ગુરુ ભગવંતોની પ્રેરણાથી સંઘમાં આ દિવસને ‘અહિંસા દિવસ’ તરીકે મનાવવાની સૌએ ભાવના ભાવી હતી. આમ તો ચૈત્ર માસની શાશ્વતી ઓળીની આરાધના અંતર્ગત જ્ઞાનપદની ઉપાસના હતી, તે વાત જણાવતા પ્રવચન અંતર્ગત જ પૂજ્યશ્રીએ જણાવ્યું હતું કે સાંપ્રત સમયે ચારેય બાજુ હિંસાનું વાતાવરણ છે.
સૌ એકબીજાને મારવાની ભાવના રાખી રહ્યા છે, ત્યારે મહાવીર સ્વામી ભગવાનની વિશેષ સ્મૃતિ થાય છે, કારણ કે વિશ્વ એવું માને છે કે કંઈક મેળવવું હોય તો હિંસા એ જ આલંબન છે, પણ વાસ્તવિકતા આ નથી. ખરેખર તો અહિંસા જેવું બીજું કોઈ સર્વશ્રેષ્ઠ આલંબન હોઈ જ ના શકે. હિંસાથી કદાચ તત્કાલીન કોઈક વ્યક્તિ ઉપર પ્રભુત્વ મેળવી શકાય, પણ તેના હૃદયને જીતી શકાતું નથી, જ્યારે અહિંસાપૂર્વકની પ્રેમની ભાવનાથી સામેની વ્યક્તિના હૃદયને પણ જીતી શકાય છે.

મહાવીર સ્વામી ભગવાને હિંસાની વ્યાખ્યામાં માત્ર શારીરિક હિંસાને જ સ્થાન આપ્યું નથી. તેઓ જણાવે છે કે 3 પ્રકારની હિંસા છે. (1) વર્તનથી હિંસા (2) વચનથી હિંસા અને (3) વિચારથી હિંસા. આપણે માત્ર વર્તન એટલે કે શારીરિક હિંસાથી અટકવાનો પ્રયાસ કરીએ છીએ, પણ પ્રભુએ તો કોઈને કટુ શબ્દો બોલીએ, તેને પણ હિંસા કહી છે, અને કોઈક માટે નકારાત્મક કે ગલત વિચારીએ, તેને પણ હિંસા કહી છે. આવી હિંસા આપણાં જીવનમાં ના થાય, તેનું આપણે સતત ધ્યાન રાખવાનું છે.
ઓળી શરૂ થઈ ત્યારથી પ્રવચન પત્યા પછી ગુરુ ભગવંત સ્વયં જીવ માત્રની શાંતિ થાય, સમસ્ત વિશ્વમાં અહિંસાનું આચરણ થાય, સર્વ જીવોને સુખ, સાતા અને સમાધિની અનુભૂતિ થાય, તે માટે પ્રતિદિન બંધ આંખે સભાજનોને પ્રાર્થના પણ કરાવે છે.
મંગલ પ્રભાતે મહાઅભિષેકનું આયોજન મહાવીર સ્વામી ભગવાનના જન્મ કલ્યાણકની ઉજવણી નિમિત્તે મંગલ પ્રભાતે મહાઅભિષેકનું આયોજન ભક્તિપૂર્વક સંપન્ન થયું હતું. તે પછી પ્રવચનમાં પણ સૌએ પ્રભુને અંતરમાં પ્રતિષ્ઠિત કરવા માટે અહિંસા ધર્મની પ્રતિષ્ઠા કરવાની ભાવના ભાવી હતી. પ્રવચન પછી શ્રી સંઘના જ પાઠશાળાના નાના-નાના ભૂલકાઓ દ્વારા ભવ્ય સ્નાત્ર મહોત્સવનું આયોજન પણ થયું હતું. સમસ્ત વિશ્વમાં શાંતિ થાય, તે નિમિત્તે પૂજ્યશ્રીની પ્રેરણાથી આજે આંબિલની આરાધનામાં વિશેષથી આરાધકો જોડાયા હતા. બપોરે સાધ્વીજીશ્રી તત્ત્વરસાશ્રીજી મહારાજનાં સાનિધ્યમાં પણ રાસનાં પ્રવચનમાં પરમતારક પ્રભુના ઉપકારોનું સ્મરણ કરવામાં આવ્યું હતું. સાંજે પણ ગુરુ ભગવંતોએ જિનાલયમાં પ્રભુભક્તિ કરી હતી. આમ પ્રભુનાં જન્મ કલ્યાણકની ઉજવણી ગીતાંજલી સંઘમાં ભવ્ય રીતે સંપન્ન થઈ હતી.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
