મુંબઈના ફોર્ટ વિસ્તારમાં આવેલા બેલાર્ડ એસ્ટેટમાં આવેલી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ઓફિસમાં શનિવારની મધરાત પછી ભીષણ આગ લાગી હતી. આ આગમાં અનેક દસ્તાવેજો, ફાઈલો તથા ફર્નિચર નાશ પામ્યાં હોવાનું ફાયર બ્રિગેડે જણાવ્યું હતું. ઈડી દ્વારા હાલ તપાસ થઈ રહી હોય કે અદાલતોમાં કેસ ચાલતા હોય તેવા કેટલાય કેસોની ફાઈલો નાશ પામી છે કે શું અને આ આગ ખરેખર લાગી છે કે પછી કોઈ હિત ધરાવતાં તત્વોનું પરાક્રમ છે તે અંગે જાતભાતની શંકાકુશંકાએ વહેતી થઈ છે. જોકે, ઈડી દ્વારા આ આગ વિશે કોઈ તત્કાળ પ્રતિક્રિયા સાંપડી ન હતી.
સાઉથ મુંબઈના ફોર્ટ વિસ્તારના બેલાર્ડ એસ્ટેટ ખાતે પાંચ માળની કૈસર એ હિંદ ઈમારતના ઈમારતમાં ચોથા માળે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટનું કાર્યાલય આવેલું છે. શનિવારે મધ્યરાત્રીએ ૨.૩૦ વાગ્યાની આસપાસ ચોથા માળે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગની જાણ થયા બાદ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી . આગની તીવ્રતાવધારે જણાતાં શરુઆતમાં તેને લેવલ ટુની આગ જાહેર કરવામાં આવી હતી.

આગને કાબુમાં લેવા માટે આઠ ફાયર બંબાઓ, છ જમ્બો ટેન્કર, એક એરિયલ વોટર ટાવર ટેન્ડર પહોંચ્યાં હતાં. આગમાં કોઈ દાઝે કે ઘાયલ થવાની આશંકા ૧૦૮ એમ્બ્યુલન્સ પણ હાજર રખાઈ હતી. આશરે બે કલાક સુધી ફાયર બ્રિગેડના જવાનોએ આગ બૂઝાવવા મથામણ કરી હતી. પરંતુ ઓફિસમાં દસ્તાવેજો, ફાઈલો, ફર્નિચર વગેરે જવલનશીલ સામગ્રી હોવાથી તે વધારે ફેલાતી જતી હતી. આખરે પરોઢે સાડા ચાર વાગ્યાની આસપાસ ફાયર વિભાગે આગને લેવલ ત્રણની જાહેર કરી હતી.
આગ લાગ્યાના લગભગ દસ કલાક પછી રવિવારે બપોરના ૧૨ વાગ્યાની આસપાસ સંપૂર્ણ આગ પર કાબુ મેળવી લેવાયો હતો. ગઈકાલે શનિવાર અને આજે રવિવાર હોવાથી ઈમારતની તમામ ઓફિસો બંધ હતી. તેથી આગની ઘટનામાં કોઈ દાઝ્યું ન હતું કે અગ્નિ શમનની કામગીરી વખતે પણ કોઈને ઈજા પહોંચી ન હતી.
જો કે, ફાયર બ્રિગેડના સૂત્રોના જણાવ્યા અનુસાર આગ સમ્રગ ઓફિસમાં ફેલાઈ ગઈ હતી. જેમાં લાકડાની વસ્તુઓ, દસ્તાવેજો અને ફાઈલો બળી જવાથી મોટા પ્રમાણમાં ધુમાડો ફેલાઈ ગયો હતો. ઓફિસોના કાચો તોડીને ધુમાડો બહાર કાઢવામાં આવ્યો હતો.

આગમાં લાકડાનું ફર્નિચર, કબાટ અને ઈલેક્ટ્રીક ઈન્સ્ટોલેશનને નુકસાન થયું હતું. વધુમાં ઈડીના ઓફિસનો ઘણો સામાન અને દસ્તાવેજો વગેરે સંપૂર્ણ નાશ પામ્યાં હતાં. જ્યાં સુધી આગ ન હતી પહોંચી તેવી ફાઈલો તથા દસ્તાવેજો ફાયર બ્રિગેડ દ્વારા સતત દસ કલાક સુધી ચાલેલા પાણીના મારાને કારણે ખરાબ થઈ ગયાં હતાં. વહેલી સવારથી આ આગના સમાચાર વહેતાં થતાં સોશિયલ મીડિયા પર તેની જાત જાતની પ્રતિક્રિયાઓ જોવા મળી હતી. લોકોએ આશંકા વ્યક્ત કરી હતી કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા સંખ્યાબંધ કેસોની તપાસ ચાલુ છે તેવા સમયે રજાનો દિવસ હોય તેવી રાતે જ લાગેલી આગ શંકાસ્પદ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ જેવી કેન્દ્ર સરકારની પ્રિમિયર એજન્સીની ઓફિસમાં જ્યાંથી અપબજોનાં કૌભાંડની તપાસ થતી હોય તે ઓફિસ પૂરતી ફાયર સેફ્ટી ધરાવતી હોય અને ખાસ કરીને ચાવીરુપ દસ્તાવેજો, ફાઈલો, અપરાધીઓનાં નિવેદનો, પુરાવા વગેરે ફાયરપ્રૂફ જગ્યાએ સુરક્ષિત રાખવામાં આવ્યાં હોય તે અપેક્ષિત છે. આ સંજોગોમાં આ આગથી કોઈ મહત્વના કેસોની ફાઈલો નષ્ટ થઈ છે કે શું તેવા સવાલો ઉઠયા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા આ અંગે સત્તાવાર નિવેદનની રાહ જોવાઈ રહી છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
