નાલાસોપારામાં 32 વર્ષના કચ્છી યુવાને પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતાં કચ્છી વિશા ઓસવાળ સમાજમાં ગમગીની વ્યાપી ગઈ છે. કચ્છના બિદડાનાં સ્વ. પન્નાબેન બિપિન વોરાના પુત્ર તનુજ વોરાએ અકળ કારણસર મંગળવારે રાત્રે ઘરની સીલિંગમાં ફેન માટેના લોખંડના એન્ગલમાં નાયલોન રસ્સી વડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આચોલે પોલીસ સ્ટેશનના આ કેસના તપાસ અધિકારી માણિક ગાયકવાડે કહ્યું કે, સાંઈ સિદ્ધાંત એપાર્ટમેન્ટમાં તનુજ એકલો રહેતો હતો. તેનાં માતા- પિતાનું અવસાન થયું છે, તનુજનો 35 વર્ષનો મોટો ભાઈ સ્મિત તેનાથી થોડું દૂર અલગ રહે છે.
મંગળવારે રાત્રે ગણેશ વિસર્જન સમયે તનુજના મિત્રો તેના ઘરે ગયા હતા, પરંતુ દરવાજો અંદરથી બંધ હતો અને અંદરથી કોઈ જવાબ મળ્યો નહીં. આથી બાજુમાં રહેતા તેના ભાઈ સ્મિતને જાણ કરી. આ પછી દરવાજો ખોલીને તેઓ અંદર ગયા ત્યારે તે હોલમાં ગળે ફાંસો લગાવેલી સ્થિતિમાં જોવા મળ્યો હતો. પરિવારે જાણ કરતાં અમે ઘટનાસ્થળે જઇને તનુજના મૃતદેહને હોસ્પિટલમાં ખસેડ્યો હતો, જ્યાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો.
અમને તેના ફ્લેટની તલાશી દરમિયાન એક મોટી શરાબની ખાલી બોટલ અને સિગારેટના કેટલાંક ઠૂંઠાં મળી આવ્યાં હતાં, પરંતુ કોઈ સુસાઈડ નોટ મળી નથી. આ મામલે અમે તેના ભાઈની ફરિયાદના આધારે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે. સુસાઈડ કરવાનું પ્રાથમિક કારણ અમને પરિવારજનો તરફથી જાણવા મળ્યા મુજબ તનુજે બીજાં લગ્ન કર્યાં હતાં, પરંતુ પત્ની તેને છોડીને ચાલી ગઈ હોય તેવું જણાય છે, એથી નિરાશામાં આ અંતિમ પગલું ભર્યું હોઈ શકે છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw