મુંબઈગરા સાથે થાણે, ભિવંડી સહિતના નાગરિકો માટે આનંદના સમાચાર છે. શહેરને પાણી પુરવઠો કરતાં સાત જળાશયની સપાટી 66.77 ટકા સુધી વધી છે. ગત અઠવાડિયાથી પડી રહેલા એકધાર્યા વરસાદને પગલે ચાર જળાશય છલકાઈ ગયાં છે. આથી મુંબઈ મહાપાલિકાએ જાહેરાત કરી છે કે, 29 જુલાઈથી 10 ટકાનો પાણીકાપ, જે શહેર હાલમાં 5 જૂનથી લાદવામાં આવ્યો હતો તે પાછો ખેંચી લેવાશે. આ સાથે મહાપાલિકા જેમને પાણી પુરવઠો કરે છે તે થાણે, ભિવંડી અને અન્ય નગરો પર લાદેલો 10 ટકા પાણીકાપ પણ ઉઠાવવાની ઘોષણા કરવામાં આવી છે. મુંબઈ મહાનગરને પાણી પૂરું પાડતાં સાતેય જળાશયોમાં 1 જુલાઈથી 25 જુલાઈના સમયગાળા દરમિયાન થયેલા ભારે વરસાદને કારણે પાણીનો સંગ્રહ સતત વધી રહ્યો છે. જળસંગ્રહમાં લગભગ 61 ટકાનો વધારો થયો છે. આ જ સ્થિતિ જુલાઈના છેલ્લા સપ્તાહમાં અને ઓગસ્ટ અને આગામી સપ્ટેમ્બર મહિનામાં પણ ચાલુ રહેવાની ધારણા છે. આને ધ્યાનમાં રાખીને, મુંબઈ મહાપાલિકા દ્વારા પાણી પુરવઠામાં વર્તમાન 10 ટકા પાણીકાપ સોમવારથી પાછો ખેંચવામાં આવી રહ્યો છે.
આ વર્ષના ચોમાસાની શરૂઆત પૂર્વે મુંબઈને પાણી પૂરું પાડતા જળાશય વિસ્તારમાં પાણીનો પુરવઠો ઘટ્યો હતો. તે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, મુંબઈ મહાપાલિકા પ્રશાસને ગત 30મી મેથી મુંબઈના પાણી પુરવઠામાં 5 ટકા અને 5મી જૂનથી વરસાદમાં સુધારો ન થાય ત્યાં સુધી 10 ટકા કાપ મૂકવાનો નિર્ણય લીધો હતો. ઉપરાંત, મહાપાલિકા તરફથી થાણે શહેર, ભિવંડી અને બહારના શહેર વિભાગોની ગ્રામ પંચાયતોને પાણી પુરવઠામાં ઘટાડો પણ નિયત તારીખથી લાગુ કરવામાં આવ્યો હતો.હાલમાં જળાશય ક્ષેત્રમાં સારો વરસાદ પડી રહ્યો છે અને પાણીનો સંગ્રહ વધીને 66.77 ટકાથી વધુ થયો છે, જળસંગ્રહની સ્થિતિ સંતોષકારક સ્તરે પહોંચી છે. આથી મુંબઈ મહાપાલિકા તરફથી મુંબઈ સાથે થાણે શહેર, ભિવંડી અને બહારના શહેર વિભાગોમાં ગ્રામ પંચાયતોને પાણી પુરવઠામાં 10 ટકાનો ઘટાડો પણ સોમવારને 29 જુલાઈથી પાછો ખેંચવામાં આવી રહ્યો છે. પાણીકાપ ઉઠાવી લેવાતાં વસાહતો, હાઉસિંગ સોસાયટીઓ વગેરેને પાણી પુરવઠામાં રાહત મળશે તેમ જ સમગ્ર મહાનગરનો પાણીપુરવઠો સુધરશે, એમ મહાપાલિકાએ જણાવ્યું હતું.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw